હોળી ધુળેટીના તહેવારોનું મહત્વ સમજાવી રંગોત્સવનું આયોજન

શ્રીમતી એમ.કે.વ્યાસ અને શ્રીમતી વાય.આર.સાંડેસરા બહેરા મૂંગા શાળા પાટણ ખાતે કાર્યક્રમ ની શરૂઆતમાં આચાર્યશ્રી ઘેમરભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ સ્પે.શિક્ષક વર્ષાબેન જોષી દ્વારા બધિર બાળકોને હોળી ધુળેટી તહેવાર વિશે સામાજિક અને ધાર્મિક મહત્ત્વ સમજાવીને પર્વની જાણકારી આપી. ત્યારપછી બહેરા મૂંગા બાળકો એ સાથે મળીને રંગોત્સવ નો આનંદ માણ્યો. પર્યાવરણની જાળવણી અને બાળકોમાં ભાઈચારાના સંદેશ સાથે ઓર્ગેનિક રંગોથી એકબીજાને રંગ લગાવીને નાચગાન સાથે ઉત્સાહ પૂર્વક હોળી ધુળેટીના તહેવારની ઉજવણી કરી ધાણી અને ખજૂર નો સ્વાદ બાળકો એ માણ્યો હતો.આ ઉજવણીમાં બાળકો સાથે શિક્ષકો પણ જોડાઈને એકબીજાને હોળીની શુભેચ્છાઓ પાઠવી.
હોળી પર્વ સાથે વિશ્વ શ્રવણ દિવસ હોઈ શાળાના આચાર્ય ઘેમરભાઈ દેસાઈ દ્વારા વહેલું નિદાન,સમાન તક, અવાજ પ્રદૂષણ,કાનની સંભાળ અને બહેરાશ નિવારણ વિશે જાણકારી સાથે શ્રવણ શક્તિ ગુમાવનાર બાળકો પ્રત્યે પૂર્વગ્રહો છોડી ટેકનોલોજી દ્વારા તેમને મુખ્ય પ્રવાહમાં જોડી શિક્ષણ અને રોજગારીમાં સમાન તકો બાબતે લોકજાગૃતિ આપવામાં આવી. લાઉડસ્પીકર,ડી.જે ના મોટા અવાજથી થતાં કાયમી નુકસાન,લાંબા સમય સુધી હેડફોન કે ઇયરબડ્સનો ઉપયોગ ટાળવા તથા કાન સાફ કરવા પીન,પેન્સિલ કે અણીદાર વસ્તુઓનો ઉપયોગ ન કરવા અને જો વારંવાર સામેની વ્યક્તિ ની વાત ફરી પુછવી પડે, વાતચીત સ્પષ્ટ સંભળાય નહીં તો તરત જ ઓડીયોલોજીસ્ટની સલાહ લેવી જરૂરી છે. વહેલું નિદાન કરાવવાથી આગળનું નુકસાન અટકાવી શકાય તે બાબતે લોકજાગૃતિ આપવામાં આવી.
