મંદિરમાં વિવિધ મનોરથો અને સમાજ કીર્તનના કાર્યક્રમો યોજાયા
પાટણમાં પુષ્ટિ માર્ગીય સંપ્રદાયના સ્થાપક વલ્લભાચાર્યજીના પ્રાગટ્ય દિવસની ભક્તિસભર ઉજવણી કરાઈ હતી. પાટણમાં આવેલા વૈષ્ણવ હવેલી મંદિરોમાં ભવ્ય શોભાયાત્રા સહીત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. પાટણના તૃતિય પીઠાધીશ્વર દ્વારકાધીશ મંદિર ખાતે તા. ૨૪/૦૪/૨૦૨૫ ને ગુરુવાર ના રોજ જગદગુરુ શ્રીમદ્દ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે વિવિધ મનોરથ અને શોભાયાત્રા આયોજન કરાયા હતા. આ પ્રસંગે સવારથી જ દરેક વૈષ્ણવો મોટી સંખ્યામાં દર્શનનો લાભ લીધો હતો. પાટણના દ્વારકાધીશ મંદિરહવેલી ખાતે સવારે સવારે ૫ : ૩૦ કલાકે પ્રભાતફેરી, શૃંગારમાં ચાંદી ના પલના તથા રાજભોગમાં બપોરે ફૂલ મંડળીના મનોરથો યોજાયા હતા. જયારે અત્રેની પાઠશાળાના બાળકો દ્વારા સાંજે પ્રોગ્રામ યોજાયો હતો. બાદમાં સાંજે મંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું. જે શહેરના વિભિન્ન માર્ગો પરથી પસાર થઇ હતી. આ ઉપરાંત સાંજે સાત વાગે શયનમાં પીળી ઘટાનો મનોરથ યોજાયો હતો.તથા શયન દર્શન બાદ સમાજ કીર્તનનો કાર્યક્રમ યોજાયો હતો. વધુમાં વૈષ્ણવોને શોભાયાત્રા પછી દૂધના શરબત તેમજ સમાજ કીર્તન પછી હળવા ફરાળી પ્રસાદ અપાયો હતો. આ સમગ્ર આયોજન કૌશિકભાઈ સોની, ચિનુભાઈ સોની, જશુભાઈ પટેલ તથા તૃતિય પીઠાધીશ્ર્વર દ્વારકાધીશ મંદિર વહિવટી સમિતિ દ્વારા કર્યુ હતું.
