વિદ્યાર્થીઓના ઉત્થાનના કાર્યોમાં પ્રવૃત્તિશીલ રહેવાનું પરિણામ મળ્યું : ડૉ. રાજગોપાલ

પાટણ જિલ્લાની સરસ્વતી તાલુકાની કાંસા ગામની શ્રી એસ. પી. ઠાકોર સર્વોદય હાઈસ્કૂલના શિક્ષક ડૉ. રાજગોપાલ મહારાજાની શિક્ષણ ક્ષેત્રે કરેલી વિશિષ્ટ કાર્ય નિષ્ઠાની નોંધ લઈ રાજ્ય સરકારે ગુજરાતના શ્રેષ્ઠ માધ્યમિક શિક્ષક તરીકે પસંદગી કરી છે, જે પાટણવાસીઓ માટે ગૌરવ સમાન છે. તેઓને પાંચમી સપ્ટેમ્બરે શિક્ષક દિને મુખ્યમંત્રીશ્રી માન. શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, શિક્ષણ મંત્રી માન. શ્રી કુબેરભાઈ ડિંડોર તથા અગ્ર સચિવ શ્રી મુકેશકુમારના વરદ હસ્તે વર્ષ ૨૦૨૫ માટે રાજ્યના શ્રેષ્ઠ માધ્યમિક શિક્ષક તરીકેના એવોર્ડથી સન્માનવામાં આવ્યા હતા. જે સમગ્ર શિક્ષક સમાજ તથા પાટણ જિલ્લા માટે ગૌરવ છે. તેઓને સાલ ઓઢાડીને પ્રમાણપત્ર તથા ૫૧ હજાર રુપિયાની રકમનો ડીડી આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

સમાજના ઉત્તમ ઘડવૈયા શ્રેષ્ઠ શિક્ષકો સાથે વિચાર ગોષ્ઠી કાર્યક્રમ શિક્ષક દિનની પૂર્વ સંધ્યાએ દિ. 4 સપ્ટેમ્બરે વિદ્યાસમિક્ષા કેન્દ્ર ગાંધીનગર મુકામે શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોર દ્વારા શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા.
તેઓશ્રી બંને 2002 માં કાંસાની શ્રી એસ. પી. ઠાકોર સર્વોદય હાઈસ્કૂલમાં ગણિત શિક્ષક તરીકે જોડાયા. તેઓશ્રી દ્વારા પોતાની ફરજના 23 વર્ષ દરમિયાન બાળકોની શૈક્ષણિક કારકિર્દી ઘડવા ઉપરાંત શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ અને નવિન ઇનોવેશનો કરીને શૈક્ષણિક ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન આપ્યું છે. જેમાં શિક્ષણમાં ભાર વગરનું ભણતર તથા યુનિફોર્મનો રંગ એ બાળકોને શિક્ષણમાં મેળવવા કેટલા અંશે નુકસાન કરે છે વગેરે ઇનોવેશન દ્વારા રાજ્યમાં શ્રેષ્ઠ નામના મેળવી છે. સાથે શિક્ષકોને શાળામાં કામગીરી દરમિયાન પડતી મુશ્કેલીઓના નિવારણ માટે ક્રિયાત્મક સંશોધન પણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં ગણિત વિષયના SRG તરીકે પસંદગી પામીને તથા માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રકાશિત વૈદિક ગણિત જેવા પુસ્તકના સમીક્ષક તરીકે તેમજ મજાનું ગણિત સરળ ગણિત જેવા પુસ્તક લેખનનું કાર્ય કર્યું છે. તેઓશ્રી વૈદિક ગણિતના નિઃશુલ્ક વર્કશોપ પણ કરે છે. સંગીતમાં પણ એમની કલાનો લાભ બાળકોને મળ્યો છે તેમજ 15 મી ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ જિલ્લા કક્ષાના ધ્વજ વંદન કાર્યક્રમની વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા અદા કરે છે. સાથે સાથે કલા મહાકુંભ કલા ઉત્સવ વગેરે જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓને તૈયાર કરી તેનામાં રહેલા કૌશલ્યને ઉજાગર કરવા માર્ગદર્શકની ભૂમિકા ભજવી જિલ્લા અને રાજ્ય કક્ષાએ કલા ક્ષેત્રે બાળકોને આગળ લાવ્યા છે. આ ઉપરાંત ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ (NCSC) માં ગ્રામ્ય શાળાના બાળકોને સંશોધન કરાવી છેક રાષ્ટ્ર કક્ષા સુધી સુધી ભાગ લેવા લઈ ગયા છે તેમજ સ્ટેમ (STEM) ક્વિઝ જેવી પ્રતિયોગિતામાં બાળકોને રાષ્ટ્ર કક્ષાએ લઈ જઈને ગ્રામ્ય શાળાનું ગૌરવ વધાર્યું છે. તેઓ મોટીવેશનલ સ્પીકર તરીકે સમગ્ર જિલ્લાની અનેક શાળાઓના બાળકોને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી સ્વ ખર્ચે નિઃશુલ્ક કાર્યક્રમો કરે છે. દર વર્ષે ધો 10 અને 12 ના વિદ્યાર્થીઓને બોર્ડના પરિણામો પહેલાં વિદ્યાર્થીઓને મોટીવેશન કરવા જિલ્લાની અનેક શાળાઓમાં તજજ્ઞ તરીકે જાય છે. આચરતિ ઈતિ આચાર્ય પંડિતને સાર્થક કરનાર કર્મઠ અને નિષ્ઠાવાન શિક્ષક ડૉ. રાજગોપાલ મહારાજાએ પારિતોષિકનો શ્રેય પોતે ન લેતાં શ્રી સર્વોદય હાઈસ્કૂલના સંચાલકશ્રી, આચાર્યશ્રી, શિક્ષક ગણ, શાળાના વિદ્યાર્થીઓ, લાયન્સ ક્લબ અને શૈક્ષિક મહાસંઘ પરિવારને સમર્પિત કરી પોતાની નિખાલસતા, સરળતા અને મહાનતા અભિવ્યક્ત કરી છે.
