રસ્તાઓ ઉપર ફરતા હિંસક ટોળાઓથી થરથર કાંપતા પ્રવાસીઓ
નેપાળ આજે ભારે રાષ્ટ્રીય સંકટ વચ્ચે ઝઝુમી રહ્યું છે. વડાપ્રધાન કે.પી. શર્માઓલી રાજીનામું આપી દેશ છોડી ભાગી ગયા છે. મંત્રીઓએ પણ રાજીનામા આપી દીધા છે. હિંસક ટોળાઓ ચારે બાજુ આગ લગાડી રહ્યા છે. મંત્રીઓના ઘર પણ સળગાવી દેવામાં આવી રહ્યા છે. ટોળાઓએ નેપાળની સંસદને પણ ઘેરાવો કર્યા છે. હજારો લોકો હથીયારો સાથે ફરી રહ્યા છે અને આગ લગાડી રહ્યા છે. પોલિસનો કંટ્રોલ નથી, પોલિસના ગોળીબારમાં ૫૦થી વધુના મોત થયા છે.
અમદાવાદના ૧૦૦, ભાવનગરના ૪૩ પ્રવાસીઓ : કેટલાક હોટલોમાં તો કેટલાક એરપોર્ટ ઉપર
ભારતના પાડોશી દેશ નેપાળમાં સર્જાયેલ અરાજક્તાના પગલે ગુજરાતના ૪૦૦ જેટલા યાત્રિકો કઠમંડુ તેમજ અન્યસ્થળે ફસાતા તેમના પરિવારજનોમાં ચિંતાની લાગણી ફેલાઇ છે. કેન્દ્ર સરકાર તાત્કાલિક તેમને બહાર કાઢે તેવી માંગણી થઇ છે.
માહિતી મુજબ ખાલી અમદાવાદના ૧૦૦ તેમજ ભાવનગરના ૪૩ પ્રવાસીઓ છે. આ ઉપરાંત રાજકોટ-જૂનાગઢના યાત્રિકો પણ છે. નેપાળમાં એરપોર્ટ બંધ છે. રોડ રસ્તાઓ પણ બંધ છે. આથી યાત્રિકો બહાર નિકળી શકે તેવી સ્થિતિ નથી. કેટલાક યાત્રિકો એરપોર્ટમાં ફસાયા છે. મોબાઇલ પણ ચાલતા નથી. ભારતે પણ અચાનક નેપાળ જતી ફ્લાઇટો બંધ કરી દીધી છે. જો કે આ તમામ પ્રવાસીઓ સલામત છે છતાં ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે.
વાહન વ્યવહાર અને વિમાની સેવા બંધ થઇ ગઇ : મોબાઇલ સેવા પણ ઠપ

નેપાળમાં સંચાર વ્યવસ્થા મોટા ભાગે ઠપ થઇ ગઇ છે. ઇન્ટરનેટ સેવા પણ ડચકા ખાઇ રહી છે. તેથી સગા સંબંધી સાથે બહાર સંપર્ક થઇ શકતો નથી. નેપાળની રાજધાની કઠમંડુનો પ્રદર્શનકારીઓએ કબજો લઇ લીધો છે. વડાપ્રધાન દેશ છોડી ભાગી ગયા છે. રાષ્ટ્રપતિએ રાજીનામું આપી દીધું છે.
આમ સમગ્ર દેશમાં અંધાધુધી છે. કેટલાક પ્રવાસીઓ સાથે હોટલમાં સંપર્ક થતા તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતીઓ સાથે અનેક ભારતીય પ્રવાસીઓ ફસાયેલા છીએ. મદદની રાહ જોઇએ છે. સ્થાનિક પોલિસ મદદ કરી શકે તેમ નથી. ભારતીય દુતાવાસનો સંપર્ક થઇ શકતો નથી.
જ્યાં હોય ત્યાં રોકાઇ જવાની સલાહ

રાજકોટના સિંચાઇ ખાતાના એક નિવૃત્ત અધિકારીએ જણાવ્યું હતું કે, પશુપતિનાથ મંદિરની સામે એક હોટલમાં છીએ આસપાસ બિહામણી સ્થિતિ છે. રસ્તાઓ ઉપર હજારોમાં ટોળાઓ બેખોફ ફરી રહ્યા છે. આગજની લુંટફાટ કરી રહ્યા છે. નેતાઓના ઘર અને સરકારી કચેરીઓ સળગાવી દેવામાં આવી છે.
બીજીતરફ બોર્ડર સીલ થતા કાઠમંડુથી ગોરખપુર જતા રસ્તા ઉપર હજારો વાહનોની લાઇનો લાગી છે. જેમાં લોકો ભૂખ્યા તરસ્યા તડપી રહ્યા છે. નેપાળના એરપોર્ટ ઉપર જીવ બચાવીને ૭૦૦ જેટલા પ્રવાસીઓ છુપાઇને બેઠા છે. જો કે મિલટ્રી એરપોર્ટની બહાર તૈનાત છે.
હેલ્પલાઈન નંબર જાહેર કરાયા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (ટ્વીટર) પર પોસ્ટ કરીને જણાવ્યું કે, નેપાળમાં રાજકીય અસ્થિરતા અને હિંસાના કારણે ફસાયેલા ગુજરાતી પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓની સુરક્ષા માટે રાજ્ય વહીવટ સંપૂર્ણ સંપર્કમાં છે. વિદેશ મંત્રાલય સાથે સમન્વય કરીને તેમને સુરક્ષિત પરત લાવવાના પ્રયાસો તેજ કર્યા છે. રાજ્યના અધિકારીઓને જરૂરી દિશાનિર્દેશ આપ્યા છે.ગુજરાતે નેપાળમાં ફસાયેલા ગુજરાતીઓ કાઠમાંડુ ભારતીય દૂતાવાસના મોબાઈલ નંબર જાહેર કર્યો છે. સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે, ગુજરાતના કોઈ વ્યક્તિને નેપાળમાં કોઈ મુશ્કેલી હોય તો આપેલા નંબર ઉપર સંપર્ક કરવાનું કહેવામાં આવ્યું છે. બંને નંબર નીચે પ્રમાણે છે. +૯૭૭-૯૮૦૮૬૦૨૮૮૧, +૯૭૭-૯૮૧૦૩ ૨૬૧૩૪.
