
દેશ-વિદેશના અલગ-અલગ શહેરોમાંથી મંગાવેલા તાજાં તથા રંગબેરંગી રેશમી ફૂલોથી શ્રીમાતાજીની હરરોજ નૂતન આંગીની સજાવટ કરાશે
આસો મહિનાની શારદીય નવરાત્રિ અર્થાત્ તા. ૨૨-૦૯-૨૦૨૫ થી ૦૨-૧૦-૨૦૨૫ સુધીના વિવિધ તહેવારોમાં પાટણના નગરદેવી શ્રી કાલિકા માતાજીના પ્રાચીન મંદિરમાં ઉજવણીની ભવ્ય તૈયારીઓ થઇ ચૂકી છે. દરરોજ સવારે પંચામૃત ઉપરાંત અનેકવિધ દ્રવ્યો વડે વેદોક્ત મંત્રોચ્ચાર દ્વારા શ્રીમાતાજીનો અભિષેક થશે. શ્રી માતાજી દરરોજ નીતનવિન ભાતીગળ સાડી ધારણ કરશે. શ્રી માતાજી દરરોજ નવીન વાહનો ઉપરસવારી કરશે. તદુપરાંત દેશ-વિદેશમાં તૈયાર થયેલા શ્રીમાતાજીના વિવિધ અમૂલ્ય ધાતુના, ડાયમન્ડના તથા જરીના અલગ અલગ ઘાટવાળા મુગુટ, હાંસડી, કુંડળ તથા મુખારવિંદના ચિત્તાકર્ષક અલંકારો દ્વારા વૈવિધ્યપૂર્ણ શૃંગાર દરરોજ રચવામાં આવશે. સાથે-સાથે દેશ-વિદેશના અલગ-અલગ શહેરોમાંથી મંગાવેલા તાજાં તથા રંગબેરંગી રેશમી ફૂલોથી શ્રીમાતાજીની હરરોજ નૂતન આંગીની સજાવટ કરાશે.

શ્રી માતાજીની સવારની આરતી દરરોજ સવારે ૧૦-૧૦ વાગે થશે અને સાંધ્ય આરતી સાંજે ૭-૧૫ વાગે થશે. શ્રી માતાજીના દર્શન રાત્રિના ૯-૩૦ વાગ્યા સુધી થશે. દરરોજ સાંજે ૭-૪૫ વાગે શ્રી માતાજીની સ્તુતિ-પ્રાર્થના-આનંદનો ગરબો વગેરે થશે.

આખીયે નવરાત્રિ દરમિયાન પ્રથમ દિવસે તા. ૨૨-૦૯-૨૦૨૫ને સોમવાર સવારે ૧૦ વાગે જ્વારા વાવવાનું તથા ઘટસ્થાપનની વેદોક્ત મંત્રોચ્ચાર દ્વારા વિધિ કરવામાં આવશે.
તા. ૩૦-૦૯-૨૦૨૫ને મંગળવારે સવારના ૯ થી બપોરના ૧ દરમ્યાન શ્રી માતાજી સમક્ષ લક્ષ્મી હોમનું આયોજન કરવામાં આવ્યું છે. આ યજ્ઞના યજમાન પદે દર્શકભાઇ ત્રિવેદી અને એમનો પરિવાર બિરાજશે.
તે જ દિવસે મંગળવારે દુર્ગાષ્ટમીના રોજ દર વર્ષની જેમ સાંજે ૫ વાગે ભૂદેવોના ખભે ઊંચકાયેલી નકશીદાર પાલખીમાં શ્રી માતાજી બિરાજમાન થઇ નગરયાત્રાએ નિકળશે અને સાંજે ૬-૩૦ વાગે ત્રણ દરવાજા પાસે આવેલા શ્રી મહાલક્ષ્મી માતાજીના મંદિરે જશે. ત્યાં શ્રી માતાજીના પૂજન-અર્ચન-આરતિ-સ્તુતિ વગેરે થશે. રાત્રે ૮ વાગે પાલખી નિજ મંદિરમાં પરત આવ્યા પછી મંદિરના ચાચરચોકમાં રાસ-ગરબાની રમઝટ જામશે અને રાત્રે ૮-૩૦ વાગે શ્રી માતાજીની સંધ્યા આરતી-સ્તુતિ વગેરે થશે.
તે જ દિવસે દુર્ગાષ્ટમીના રોજ રાત્રે ૧૦ વાગે શ્રી માતાજી સમક્ષ વંશ પરંપરા મુજબ વ્યાસ પરિવારના યજમાન પદે લક્ષ્મી હોમનો પ્રારંભ થશે અને બે વાગે શ્રીફળ હોમાશે.
તે જ દિવસે મધ્યરાત્રિએ ૨-૩૦ વાગે વેદોક્ત મંત્રોચ્ચાર દ્વારા શ્રી માતાજીની સંધિપૂજા થશે અને વિવિધ વ્યંજનો દ્વારા શ્રી માતાજીના ખંડ ભરાશે અને નૈવેદ્ય અર્પણ કરાશે. તથા શ્રી માતાજીના દર્શન મધ્યરાીત્રના ૩ વાગ્યા સુધી થશે.
તા. ૦૨-૧૦-૨૦૨૫ને ગુરૂવારે દશેરાના રોજ બપોરે ૧૨ વાગે ઘટસ્થાપન તથા જ્વારાની ઉથાપન વિધિ થશે.
