પાટણથી કાંસા-ભિલડીનું રેલ જોડાણ થયું. પાટણ વિસ્તારની પ્રજા છેલ્લા ૫૦ વર્ષ કરતા વધુ સમયથી કાંસાનું ભિલડી સાથે જોડાણ થાય તે માટે માંગણી કરી રહી હતી. પાટણથી કાંસા સુધી ૧૦૦ વર્ષ જૂની મીટરગેજ લાઇન હયાત હતી. પાલનપુરથી કંડલા લાઇન ઉપર આવેલ ભિલડી સાથે કાંસાનું જોડાણ થાય તો વર્ષોથી ખૂણામાં પડેલ પાટણનું રાજસ્થાન, પંજાબ, છે ક કાશ્મીર ઉત્તર ભારત સાથે સીધુ રેલ જોડાણ થાય. આ વિસ્તારની જનતાની વર્ષોની પ્રતિક્ષા પછી વર્ષ ૨૦૧૯માં પાટણ-કાંસા ભિલડીનું ૫૨ કિ.મી.નું બ્રોડગેજ જોડાણ કામ પૂર્ણ થયેલ.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ તેનું લોકાર્પણ કર્યું હતું. બાદ રાજસ્થાનના બિકાનેર, જોધપુર, ભગત કી કોઠી સહિતથી ઉપડતી અનેક મહત્ત્વની મુંબઇ, પુના, દ.ભારત તરફ જતી ટ્રેનો વાયા ભિલડી-પાટણ થઇને દોડતી થઇ છે. ભાવનગરથી હરીદ્વાર જતી ટ્રેન પણ વાયા પાટણ થઇને શરૂ થઇ છે.

પાટણ-ભિલડી વચ્ચેના ૫૨ કિ.મી.ના માર્ગ ઉપર ખલીપુર, કાંસા, વાયડ, શિહોરી, મુડેઠા સહિત અનેક સ્ટેશનો મોટા મોટા પ્લેટફોર્મ સાથે બનાવવામાં આવ્યા છે. પરંતુ આ પાટણના ઉત્તર પ્રાંતની પ્રજાને એકાદ લોકલ ટ્રેન સિવાય કોઇ વિશેષ રેલ સુવિધાનો લાભ આઝાદીના ૭૫ વર્ષ પછી પણ મળ્યો નથી. આ સ્ટેશનો શોભાના ગાંઠીયા સમાન છે.
આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય કેશાજી ઠાકોરે જણાવ્યું હતું કે, અમોએ આ વિસ્તારના ૩૦ જેટલા ગામડાના ગ્રામ્યજનો, અગ્રણીઓની સહીઓ સાથે પાટણના ઉત્તર પ્રાંતના મહત્ત્વના મથક એવા કાંસા સ્ટેશને (૧) સાબરમતીથી જેસલમેર અને (૨) દાદરથી ભગતકી કોઠી જતી-આવતી ટ્રેનનું સ્ટોપેજ આપવા રેલમંત્રી શ્રી અશ્ર્વિની વૈષ્ણવને પત્ર લખી રજૂઆત કરી હોવાનું તેમણે જણાવેલ. આ પત્રની નકલ પાટણના સાંસદ ભરતસિંહ ડાભીને આપતા તેઓએ પણ અમારી માંગણીને સમર્થન આપી રેલમંત્રીને કાંસાને ખાસ સ્પેશીયલ કેસમાં આ બે ટ્રેનોનું સ્ટોપેજ આપવા ભારપૂર્વક પત્ર લખી રજૂઆત કરી છે.

શ્રી કેશાજી ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે, કાંસા-ભિલડી રેલજોડાણ માટે આ વિસ્તારના ગ્રામ્યજનો, ખેડૂતોએ પોતાની કિંમતી જમીનો આપી છે. કેટલાક ખેતરોના બે ઉભા ફાડીયા થયા છે. છતાં આ પછાત વિસ્તારની લાખોની પ્રજાને રેલ સુવિધાનો લાભ કેમ નહિં? તેઓએ આ રજૂઆતને વેગ આપવા પાટણ વિકાસ પરિષદને પણ રૂબરૂ મળી અપિલ કરી હતી.


