
પાટણનું પ્રથમ કુટુંબ કહી શકાય એવા શેઠ કિલાચંદ દેવચંદ પરિવારના મોભી શ્રી તનીલભાઇ રામદાસભાઇ કિલાચંદ શેઠ ગઇકાલે પાટણની શ્રીમતી કેસરબાઇ કિલાચંદ સરકારી કન્યા વિદ્યાલયની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. આ પ્રસંગે પાટણ સાયન્સ કોલેજના નિવૃત્ત અધ્યાપક શ્રી અરવિંદભાઇ, સાહિત્યકાર શ્રી અશોકભાઇ વ્યાસ, પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખશ્રી હિનાબેન શાહ, મહાગુજરાતના તંત્રી શ્રી કિરીટભાઇ ખમાર વગેરે પણ શાળાના આમંત્રણને માન આપીને ઉપસ્થિત રહ્યા હતાં.

શાળાના આચાર્ય ડૉ. દિનેશભાઇ પ્રજાપતિ, કમલેશભાઇ સ્વામી, સ્ટાફના સભ્યો તથા તમામ વિદ્યાર્થિનીઓએ શુભેચ્છા સમારંભમાં હાજર રહી તમામ મહેમાનોનું યથોચિત સ્વાગત-સન્માન કર્યું હતું. આજથી ૭૫ વર્ષ પહેલાં ક્ધયા કેળવણીને ઉત્તેજન આપનાર અને એને સાકાર સ્વરૂપ આપનાર કિલાચંદ પરિવારને હૃદયપૂર્વક યાદ કરીને શ્રી તનીલભાઇનું વિશેષ સન્માન કરી ડૉ. દિનેશભાઇએ એમના પ્રતિ આભારની લાગણી વ્યક્ત કરી હતી. આજે આ વિદ્યાલય ક્ધયા કેળવણીના ક્ષેત્રે ઉત્કૃષ્ટ ઉદાહરણ તરીકે પ્રસિદ્ધ છે.

આ પ્રસંગે દીકરીઓને મોટિવેશનલ સ્પીચ અને જીવનના અનુભવો દ્વારા આત્મનિર્ભરતાના પાઠ શીખવવાના સ્તુત્ય પ્રયાસોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્વાગત સભારંભમાં પોતાનું વક્તવ્ય રજૂ કરતાં શ્રી તનીલભાઇએ જ્યારે પણ જરૂર પડે ત્યારે કોઇપણ પ્રકારની મદદ કરવાની તત્પરતા દર્શાવી દીકરીઓના શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે ચાલતી પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઈ અપાર રાજીપો વ્યક્ત કર્યો હતો. તેમણે શાળાની બ્યુટી એન્ડ વેલનેસ, હેલ્થ એન્ડ કેર જેવી વ્યવસાયલક્ષી પ્રવૃત્તિઓની પ્રશંસા કરી અને દીકરીઓની જરૂરિયાતો માટે સંપૂર્ણ સહયોગનો મક્કમ વિશ્ર્વાસ આપ્યો હતો.

આ પ્રસંગે સાહિત્યકાર અશોકભાઇ વ્યાસે પોતાના પ્રવચનમાં પાટણની સ્થાપનાથી માંડીને આજ સુધીનો ચિતાર રજૂ કરેલ હતી. ગત વર્ષે વિવિધ વિષયોમાં વિશેષ ગુણ મેળવનાર વિદ્યાર્થિનીઓને ઇનામી રકમના કવર આપી પ્રોત્સાહિત કરવામાં આવી. કાર્યક્રમનું સંચાલન શ્રીમતી કમલાબેન જેઠવાણી અને શ્રીમતી નમ્રતાબેન ઠક્કરે કર્યું. શાળા પરિવારના વહીવટી વિભાગ અને સમગ્ર શિક્ષકોના સહયોગથી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો.
