
પાટણના નગરદેવી શ્રી કાલિકા માતાજીના પ્રાચીન મંદિરમાં છેલ્લા સોળ વર્ષથી ચૈત્રી નવરાત્રિના છેલ્લા બે દિવસોમાં શાસ્ત્રીય ગાયન, વાદન અને નૃત્યના અદ્ભૂત કાર્યક્રમો અવિરતપણે યોજાતા રહ્યા છે. આ વર્ષે પણ તા. ૨૬-૦૩-૨૦૨૬ને ગુરૂવારે સાંજે ૬-૩૦ વાગ્યાથી રાત્રિના ૧૧-૩૦ સુધી યોજાનાર આ કાર્યક્રમનો શુભારંભ વ્યાસ પરિવારની બે સ્વરક્ધિનરીઓ તિથિ અને તોરલ દુર્ગા સ્તોત્રના ગાનથી કરશે. ત્યાર બાદ નંદિતા ભટ્ટ કથ્થક નૃત્ય રજૂ કરશે. દ્વિતીય ચરણમાં બીનાબેન પટેલ અને એમનું વૃંદ નૃત્ય બેલે પ્રસ્તુત કરશે. ત્રીજા ચરણમાં કુ.રાધિકા પરીખ પોતાના મુલાયમ સ્વરમાં શાસ્ત્રીય ગાયન રજૂ કરીને માતાજીને રીઝવશે. ત્યારબાદ ચોથા ચરણમાં શ્રી પ્રાંશુ પાઠક વાયોલિન વાદન રજૂ કરશે. પાંચમા ચરણમાં શ્રીમતી અમી નિરજ પરીખ પોતાના મખમલી સ્વરમાં શાસ્ત્રીય ગાયન રજૂ કરીને શ્રીમાતાજીને કાલાવાલા કરશે. છઠ્ઠા ચરણમાં કુ. દૃષ્ટિ જૈન, કુ. જીનાંશી તથા કુ. રાધીકા પરીખની ત્રિપુટી વાયોલીન વાદન પ્રસ્તુત કરશે અને છેલ્લે સાતમા ચરણમાં પંડિત વિકાસ પરીખ પોતાના સુમધુર અને બુલંદ અવાજમાં શાસ્ત્રીય રચનાઓ ગાઇને શ્રી માતાજીને પ્રસન્ન કરશે. આ રીતે પ્રથમ દિવસનો શાસ્ત્રીય કાર્યક્રમ રાત્રે ૧૧-૩૦ વાગે સંપન્ન થશે. આ દિવસે શ્રીમાતાજીની સંધ્યા આરતી સાંજે ૫-૦૦ વાગે થશે.

બીજે દિવસે એટલે કે તા. ૨૭-૦૩-૨૦૨૬ને શુક્રવારે સાંજના ૭ થી રાત્રિના ૧૧ સુધી યોજાનાર ઉપશાસ્ત્રીય તથા સુગમ ગાયનના કાર્યક્રમમાં પાટણના તમામ સ્થાનિક કલાકારો શ્રીમાતાજી સમક્ષ એક જ મંચ પર બેસીને ભજનોની રમઝટ જમાવશે. કમલેશ સ્વામી, સમ્યક પારેખ, સંદીપ ખત્રી, આત્મારામ નાયી, અતુલ નાયક, આશા રાવલ, દર્શના રામી, ખ્યાતિ નાયક ભાવસાર, શીખા નાયક, વિદિશા મોદી, દૃષ્ટિ જનસારી અને જાનકી જોષી વગેરે કલાકારો સાથે જીગર બારોટ તબલા પર અને મયુર યોગી કી બોર્ડ પર સંગત કરશે.
પાટણના તમામ ગીત-સંગીતના રસિકજનો બંને દિવસોએ શ્રીમાતાજીના દરબારમાં હાજરી લગાવવા હૃદયપૂર્વક નિમંત્રણ અપાયેલ છે.
