શ્રીકૃષ્ણ જન્મોત્સવ, નંદ મહોત્સવ, રૂકમણી વિવાહ, અન્નકૂટ દર્શનના મહોત્સવો ઉજવાશે

શ્રી શ્રી હરિસેવા પરિવાર પાટણ દ્વારા પૂણ્ય પવિત્ર પુરૂષોત્તમ માસમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન હરિદ્વાર ખાતે ગંગા કિનારે આવેલા મુલતાન ભવનના સુંદર મજાના એ.સી. હોલમાં કરવામાં આવેલ છે. શ્રી શ્રીહરિ સેવા પરિવાર દ્વારા પ્રતિવર્ષ શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવે છે. આ તેનું ૧૮મું વર્ષ છે. આ સપ્તદિન જ્ઞાનમાં ભાગ લેવા માટે પાટણ-અમદાવાદ-રાજકોટ-ગાંધીનગર-આણંદથી અંદાજે ૧૨૫ યાત્રિકો અત્રે પધારેલ છે. તા. ૨૫-૫-૨૬ને સોમવારના રોજ ટ્રેનની સુખદ મુસાફરી કરીને યાત્રિકો હરિદ્વાર આવ્યા હતા. હરિદ્વાર ખાતે મુલતાન ભવન તેમજ આજુબાજુના આશ્રમોમાં નિવાસની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ છે. 
તા. ૨૭-૫-૨૬ને બુધવારના રોજ સાયનકાળે રમર્ણિય વાતાવરણમાં ભગવાન ભાગવતજીની ભવ્ય પોથીયાત્રા હરિદ્વારના માર્ગો ઉપર ફરી હતી. જેમાં ભાવિકોએ બેન્ડની સુરાવલી સાથે કિર્તન-ગરબા-નૃત્ય દ્વારા પોતાનો ભાગવત ભગવાન પ્રત્યેનો ભાવ પ્રગટ કર્યો હતો. પોથીયાત્રામાં વક્તાશ્રી શાસ્ત્રી દિલીપભાઇ આચાર્ય (ભાઇશ્રી) પણ સામેલ હતાં. પૂ. ભાઇશ્રીએ કથાના પ્રથમ દિવસે ભાગવતજીનું મહાત્મ્ય તેમની વિદ્વતા સભર સરળ વાણી દ્વારા શ્રોતાઓને શ્રવણ કરાવ્યું હતું.

આ સપ્તદિન કાર્યક્રમમાં તમામ યાત્રિકો ખૂબ જ ભાવસભર કથા શ્રવણ અને હરિદ્વાર ભ્રમણનો આનંદ માણી રહ્યા છે. આયોજકો દ્વારા નિવાસ-ભોજન કથા શ્રવણ માટેની ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ છે. કથા દરમ્યાન સંગીતકારોની સંગત વાતાવરણને આહલાદક બનાવે છે અને તેમની સુરાવલીઓ દ્વારા શ્રોતાઓને મંત્રમુગ્ધ કરે છે. આયોજન દરમ્યાન યાત્રિકો દ્વારા તેમજ બહારથી પણ ઉદાર સખાવતો પ્રાપ્ત થઇ રહી છે. આ ભાગવત સપ્તાહનું યુ-ટ્યુબ પર લાઇવ પ્રસારણ કરવામાં આવી રહ્યું છે.

