
અંગદાન એ જ મહાદાન અભિયાન
પાટણ શહેરમાં કે.સી. પટેલના પ્રમુખ સ્થાને સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનો માટે જાણીતી એવી માઁ નો પરિવાર સંસ્થા દ્વારા આગામી તા. ૫-૧૦-૨૦૨૫ના રોજ કે.સી. પટેલ વિદ્યાસંકુલના લેમોનેટ પાર્ટીપ્લોટમાં નવરાત્રી મહોત્સવના અનુરૂપ “રાધે રાસોત્સવ નામની એક અનોખી ભવ્યાતિભવ્ય ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટની મુખ્ય થીમ “અંગદાન એ જ મહાદાન આધારીત છે. પાટણ શહેર સહિત જિલ્લાના લોકોને અંગદાન કરવાની પ્રેરણા જાગે અને આ અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પ્રેસના મિત્રોને સંબોધતા આ માઁ પરિવારના પ્રમુખ, હુડકોના ડીરેક્ટર કે.સી. પટેલે જણાવ્યું હતું કે, સંઘ સાથે સંકળાયેલ શ્રી દિલીપભાઇ દેશમુખદાદા તેમની જીંદગીમાં આવેલ આપત્તિ અને તેમાંથી બહાર નિકળી નવુ જીવન પ્રાપ્ત કર્યા બાદ તેઓએ અંગદાનને ઉત્તેજન આપવાનું તેમના જીવનના એક માત્ર ધ્યેય સાથે આજે કાર્ય કરી રહ્યા છે. આ મુખ્ય ઉદ્દેશ સાથે માઁ નો પરિવાર સંસ્થા દ્વારા નવરાત્રી પર્વની પરંપરા સાથે રાધે રાસોત્સવનું આયોજન કરવામાં આવેલ છે.
આ અનોખી ઇવેન્ટમાં અનેક મહાનુભાવો સાથે દિલીપભાઇ દેશમુખ દાદા ખાસ ઉપસ્થિત રહેવાના છે. આ પ્રસંગે દર્શકભાઇ ત્રિવેદીએ જણાવ્યું કે, રાધે રાસોત્સવમાં પોતાના કંઠ અને સંગીતથી વડોદરાના કલાકાર હિમાલી જોષી અને તેમનું કલાકાર વૃંદ સમગ્ર કાર્યક્રમને સંગીતથી મઢી લેશે. આ કાર્યક્રમોમાં ઇનામોની વ્યવસ્થા રખાઇ છે. રાસોત્સવના મેદાનમાં અલગ અલગ પ્રકારના વયજુથ પ્રમાણે અને ખેલૈયા માટે જુદા જુદા ઝોન વર્ગીકત તૈયાર કરાશે. દરેક ખેલૈયાઓને સરળતા પડે તે માટે ગરબાની અલાયદી વ્યવસ્થા કરાયેલ છે.
આ પ્રસંગે માર્કેટયાર્ડ ચેરમેન સ્નેહલ પટેલ, કોરીયોગ્રાફર નિશાબેન સોની, ઉત્કર્ષ પટેલ સહિત માઁ નો પરિવારના યતિનભાઇ ગાંધી, કમલેશભાઇ સ્વામી સહિત અન્ય ઉપસ્થિત હતાં.
આ કાર્યક્રમમાં વિનામુલ્યે તમામ લોકોને પ્રવેશ અપાશે જો કે તે માટે અગાઉથી રજીસ્ટ્રેશન કરાવી પાસ મેળવવાના રહેશે. જે ટેલીફોન એક્ષચેન્જ નજીક આવેલ સિધ્ધરાજ ક્રેડીટ સોસાયટી ખાતે બપોરે ૧ થી ૪ વાગ્યા સુધી મેળવી શકાશે.
પ્રત્યેક વ્યક્તિએ પોતાના અંગોને સારી રીતે સાચવવા જોઇએ : શ્રી કે.સી. પટેલ
“આપણે પહેલા રક્તદાન બાદ દેહદાનનું મહત્ત્વ સમજ્યા, આજે હવે અંગદાનનું પણ ખૂબ મહત્ત્વ છે. અકસ્માત કે બીજા કોઇ કારણે માનવીનું બ્રેઇન ડેડ થાય છે, જીવવાની કોઇ શક્યતા હોતી નથી ત્યારે તે વ્યક્તિના પરિવારજનો દ્વારા કીડની, લીવર, ફેંફસા, આંખો સહિતનું દાન આપી અનેકોની જીંદગીને નવજીવન આપી શકાય છે. દરેક માનવીઓએ વ્યસનોનો ત્યાગ કરી સારી સ્વસ્થ જીંદગી જીવવી જોઇએ અને તેમના પ્રત્યેક અંગોને મૃત્યપર્યત સુધી સારી રીતે સાચવી રાખવા જોઇએ.
(હર્ષદ ખમાર દ્વારા)
