
ભગવાન નારાયણની ભક્તિના વિશેષ દિવસો એવા અધિક માસ નિમિત્તે પાટણના શ્રી શ્રીહરિ સેવા પરિવાર દ્વારા દેવભૂમિ હરિદ્વાર ખાતે ભવ્ય શ્રીમદ ભાગવત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સંસ્થા દ્વારા દર વર્ષે નગરના ભક્તો માટે વિવિધ પવિત્ર તીર્થોમાં ધાર્મિક યાત્રાનું આયોજન કરે છે.આ વર્ષે હરિદ્વારના ગંગા કિનારે આવેલ મુલતાન ભવનમાં આયોજન કરાયું છે. પાટણના શ્રી શ્રીહરિ સેવા પરિવાર દ્વારા આગામી તારીખ ૨૫ મે થી ૪ જૂન ૨૦૨૬ દરમિયાન સંસ્થાની ૧૮મી શ્રીમદ ભાગવત મહોત્સવ યાત્રા યોજાવા જઈ રહી છે.આ ભક્તિમય મહોત્સવમાં પાટણના ભાગવતાચાર્ય શાસ્ત્રી દિલીપભાઈ આચાર્ય વ્યાસપીઠ ઉપર બિરાજીને શ્રદ્ધાળુઓને શ્રી રસરાજ પ્રભુની દિવ્ય લીલાઓનું રસપાન કરાવશે.૧૦ દિવસ ચાલનારી આ કથા દરમિયાન શ્રી રામ જન્મોત્સવ, શ્રીકૃષ્ણ જન્મોત્સવ, ગિરીરાજ પૂજન તેમજ રૂક્ષ્મણી વિવાહ સહિતના અનેક ધાર્મિક પ્રસંગોની ધામધૂમથી અને ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવશે. અધિક માસ એ ભગવાન પુરુષોત્તમની આરાધનાનો શ્રેષ્ઠ સમય છે.આ પવિત્ર માસમાં સામાન્યમાં સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતો માણસ પણ પવિત્ર હરિદ્વાર તીર્થની યાત્રા કરી શકે અને ગંગા કિનારે કથા શ્રવણનો દિવ્ય લાભમેળવી શકે તે માટે આ આયોજન કોઈ વ્યાવસાયિક હેતુ વિના કરવામાં આવ્યું છે. પાટણ-અમદાવાદ સહિત વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ ધાર્મિક યાત્રાનો લાભલેવા જોડાઈ રહ્યા છે.
