શ્રીહરી સેવા પરિવાર દ્વારા સુંદર આયોજન
શ્રી શ્રી હરિસેવા પરિવાર, પાટણ દ્વારા આયોજીત શ્રીમદ્ ભાગવત મહોત્સવ પરમ પાવન ભગવતી ગંગામૈયાના પરમ અનુગ્રહથી તથા રાસરાસેશ્ર્વર શ્રીકૃષ્ણચંદ્ર પ્રભુની કૃપાથી તાજેતરમાં જ હરિદ્વાર ખાતે ઉજવાયો. પાટણના જાણીતા વિદ્વાન શ્રી દિલીપભાઇ શાસ્ત્રીજીના મુખેથી સુમધુર કંઠેથી વહેતા ભાગવત કથાના પ્રવાહનું રસપાન કરવા પાટણ ઉપરાંત મુંબઇ, અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત વગેરે શહેરોમાંથી ધર્મપ્રેમી ભાઇ/બહેનો આઠ-દસ દિવસ હરિદ્વાર ખાતે “મુલતાન ભવનના ભાગવત હોલમાં સતત હાજર રહ્યા હતાં. સૌએ શ્રીમદ્ ભાગવદ્ કથાના રસપાન સાથે ખૂબ ઉમંગભેર શ્રીરામ જન્મોત્સવ, શ્રીકૃષ્ણ જન્મોત્સવ, શ્રી ગીરીરાજ પૂજન. શ્રી રૂક્ષ્મણી વિવાહ વગેરે મનોરથો ધામધૂમથી ઉજવ્યા હતાં.
આ યાત્રાનો મૂળ હેતુ માઁ ગંગાના પાવન કિનારે ભાગવત કથાનું શ્રવણ અને ગંગા સ્નાન એમ બંને લાભ ધર્મપ્રેમી ભાવિકો લઇ શકે અને સાથે સાથે યથાશક્તિ ન્યોછાવર ધરીને પોતાના મનગમતા મનોરથોનો પણ લાભ લઇ શકે તે હેતુ હતો. પાટણની આ ધાર્મિક સંસ્થા દ્વારા આયોજીત આ ભક્તિયાત્રામાં નિષ્ઠાપૂર્વક જોડાયેલા લોકોની સાર-સંભાળ, સાધન-સગવડ વગેરે શ્રીહરી સેવા પરિવાર દ્વારા પ્રામાણિકપણે ખૂબ સારી રહી. આ યાત્રા-પ્રવાસમાં સામેલ થયેલા પાટણના મહાકાલી માતાજીના ઉપાસક-સાહિત્યકાર અશોકભાઇ વ્યાસ સહિત મહાગુજરાતના તંત્રી હર્ષદભાઇ ખમાર તથા કિરીટભાઇ ખમાર, વેપારી મંડળના પ્રમુખ મહાસુલાલ મોદી, જીઇબીના નિવૃત્ત અધિકારી નરેશભાઇ કડીયા, પશુદાણના જાણીતા વેપારી હસમુખભાઇ પટેલ, પૂર્વ સરકારી અધિકારી ભુપેન્દ્રભાઇ શાહ સહિત અનેક જાણિતી વ્યક્તિઓએ કથાશ્રવણનો તથા ગંગાસ્નાનનો અનેરો લાભ લીધો હતો. આ મહોત્સવમાં સૌની ઇચ્છા થકી અશોકભાઇ વ્યાસનું મનનીય વક્તવ્ય સાંભળવા માટે એમને ખાસ દિવસ અને સમય ફાળવવામાં આવ્યો હતો. અશોકભાઇ વ્યાસ સહિત સૌ યાત્રિકોએ, દિલીપભાઇની સુપુત્રી અવનીબેન અને ભાર્ગવભાઇ શાસ્ત્રી હરી સેવા પરિવારના સભ્યોએ આખીયે યાત્રાનો સુખદ અનુભવ કરાવવા માટે ખૂબ જહેમત ઉઠાવી તે બદલ અભિનંદન આપેલ.