નૂતન હાઇસ્કુલ ના વિકાસ માં દેવજીભાઇ પરમારે કરેલ કામ ની સૌએ પ્રશંસા કરી

આજે પાટણની નૂતન વિનયમંદિર ટ્રસ્ટ સંચાલિત નૂતન વિનય મંદિર શાળામાં બાલમંદિરથી ધોરણ ૧૨ સુધીના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સાધન-સહાય વિતરણ, સ્માર્ટ બોર્ડનું લોકાર્પણ અને રમતગમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓના સન્માનનો ત્રિવેણી કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો.
સ્માર્ટ બોર્ડ અને શૈક્ષણિક કીટ વિતરણ : ડિજિટલ શિક્ષણ : પ્રાથમિક વિભાગમાં ધોરણ ૫ માટે અત્યાધુનિક સ્માર્ટ બોર્ડનું દાન શ્રી કિરીટભાઈ બિપિનભાઈ શાહ, શ્રીમતી ગીતાબેન કિરીટભાઈ શાહ તથા શ્રી શેતલભાઈ શાહ (જાપાન વાળા પરિવાર) તરફથી પ્રાપ્ત થયું છે.

જ્યારે ધોરણ ૧ થી ૫ ના બાળકોને કુમારી સપનાબેન પ્રકાશભાઈ ગોલીયાના સહીયોગથી લંચબોક્સ અને વોટર બોટલ આપવામાં આવી હતી. જ્યારે ધોરણ ૬ થી ૧૨ ના વિદ્યાર્થીઓને શ્રીમતી નીપાબેન પ્રવીણચંદ્ર શાહ અને શ્રીમતી આકાશી હાર્દિક પંચાલ તરફથી કુલ ૪૦૦ સ્કૂલ બેગ અને વોટર બોટલનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ‘સાંસદ ખેલ મહાકુંભ’માં શાળાની જે ચાર ટીમોએ ભાગ લીધો હતો, તે તમામ ખેલાડીઓને ટ્રોફી અને મેડલ આપી મહાનુભાવોના હસ્તે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ટીમોના માર્ગદર્શક શિક્ષક શ્રી ઇકબાલભાઇને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ વિશેષ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં આશીર્વાદ આપવા પાટણ બ્રહ્માકુમારી સેન્ટરના રાજયોગીની બ્ર.કુ. નીલમ દીદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા શિક્ષણવિદ શ્રી કાનજીભાઈ પટેલ, ‘મહા ગુજરાત’ના તંત્રી શ્રી હર્ષદભાઈ ખમાર, હૈદરપુરાના સરપંચ શ્રી રસુલભાઈ, પૂર્વ આચાર્ય શ્રી કનુભાઈ પરમાર, દેવજીભાઇ પરમાર, કોર્પોરેટર શ્રી મનોજભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી.
આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે શાળાના આચાર્યશ્રી તથા તમામ સ્ટાફ મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી. દાતા પરિવારોએ શિક્ષણ અને રમતગમત પ્રત્યેના આ સેવાકાર્યથી સંતોષની લાગણી વ્યક્ત કરી હતી.

