Maha Gujarat
OtherPatanઆંતરરાષ્ટ્રીયજગ્યાજિલ્લોરાજ્યરાષ્ટ્રીયશિક્ષણ

પાટણનાં જૈન જ્ઞાનમંદિર ખાતે જ્ઞાન સેમિનાર યોજાયો

પાટણ સ્થિત વિશ્ર્વ પ્રસિદ્ધ હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર વિદ્વાનો માટે તીર્થસમાન છે

આગમ પ્રભાકર મુનિ જંબુવિજયજીના શિષ્યરત્ન આચાર્યશ્રી પુંડરિકરત્નસૂરિના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો…

પ્રાચીન ભારતીય સાહિત્યના સંવર્ધન-સંરક્ષણ સમગ્ર વિશ્વના વિદ્વાનનોમાં પ્રખ્યાત વિશ્વપ્રસિદ્ધ હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરમાં ગત તા.05-04-24ના રોજ જ્ઞાનના ઉત્સવનો અનોખો કાર્યક્રમનું આયોજન થયું હતું. ઈ.સં. 1939માં સ્થાપનાના 85 વર્ષની સફરમાં અનેક ભારતીય જ નહિ પરંતુ વિદેશી વિદ્વાનોએ આ સંસ્થાની મુલાકાત માટે આવ્યા છે. પ્રાચીન ભારતીય શિક્ષા પ્રણાલિનો વારસો ભવિષ્યની પેઢીને પણ ઉપલબ્ધ થાય તેવા પ્રયત્નોના ભાગરૂપે માત્ર હસ્તપ્રતો અને તાડપત્રો જ નહિ પરંતુ આઝાદી પહેલાના અનેક અલભ્ય પ્રકાશિત પુસ્તકો મેગેઝીન વગેરેનું પણ ડિજિટલાઇઝેશન કરવામાં આવ્યું છે.

આગમ પ્રભાકર મુનિ જંબૂવિજયજીના શિષ્યરત્ન આચાર્યશ્રી પુંડરિકરત્નસૂરિના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ જ્ઞાનમંદિરના પ્રાંગણમાં યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત મુનિશ્રીના મંગલાચરણથી થઇ હતી. દીપ પ્રાગટ્ય બાદ સંસ્થાના વ્યવસ્થાપક યતીનભાઇ શાહે સંસ્થાનો પરિચય આપ્યો હતો. અને તે સાથે ગ્રંથ ભંડારમાં નવી ઉમેરાયેલી આશરે 4300 કાગળની હસ્તપ્રત તેમજ એક સૈકા જુના મેગેઝીન જેમ કે હરિજનબંધુ, સાહિત્ય, પ્રબુદ્ધ જૈન જેવા 2000 જેટલા અલભ્ય મેગેઝીન તથા 2000 જેટલા પત્રો, ચિત્રો, નકશા તેમજ મોટી સંખ્યામાં મુદ્રિત પુસ્તકોના સ્કેનિંગ થયાની માહિતી આપી હતી. આ કાર્ય મુનિશ્રી મહાવિદેહવિજયની દેખરેખ હેઠળ સુશ્રી માનસી ધારિવાલના નૈતૃત્વ હેઠળ સફળતાથી પૂર્ણ થયું હતું તે માટે સમગ્ર ટીમનો આભાર માન્યો હતો. સુશ્રી માનસી ધારીવાલે કાર્યનો અહેવાલ આપીને જણાવ્યું હતું કે આ જ્ઞાનમંદિરમાં સચવાયેલી હસ્તપ્રતો અમૂલ્ય છે, અનેક હસ્તપ્રતો તેમજ તાડપત્રો અપ્રકાશિત છે. તે વારસો ભવિષ્યની પેઢી માટે સંવર્ધિત કરવામાં આવ્યો છે. આ વારસો ભારતના સાંસ્કૃતિક, સામાજિક, ધાર્મિક વગેરે દૃષ્ટિએ અમૂલ્ય છે. સચવાયેલા પત્રો તત્કાલીન માહિતીથી યુક્ત છે તેનો વ્યવસ્થિત અભ્યાસ કરવાની જરૂર છે. કાર્યક્રમના વિશિષ્ટ અતિથિઅમદાવાદના એલ.ડી.ઇન્ડોલોજીના પૂર્વનિર્દેશક અને જૈન સાહિત્યના અભ્યાસુ ડો.જીતેન્દ્ર શાહે જણાવ્યું કે ભારતમાં 5 કરોડ જેટલી હસ્તપ્રતોમાંથી આજે માત્ર 1 કરોડ જેટલી જ હસ્તપ્રતો ઉપલબ્ધ છે, ઘણુ સાહિત્ય નષ્ટ થયું છે, પ્રતિમા અને પ્રત આ બે સાધનોથી જ સંસ્કૃતિનું રક્ષણ થયું છે અને આગળ પણ થશે. વર્તમાન સમયમાં જ્ઞાન પ્રત્યે ઉદાસીનતા જોવા મળે છે.  જૈસલમેરના જ્ઞાનભંડારના અધ્યક્ષ મહેન્દ્રભાઇ શાહે સંસ્થાના કાર્યને બિરદાવ્યું હતું અને જેસલમેરમાં પણ આ કાર્ય કરવા માટે આમંત્રણ આપ્યું હતું. ગુજરાતયુનિના પ્રાકૃત-પાલિ વિભાગના અધ્યક્ષ ડો. દીનાનાથ શર્માએ હેમચંદ્રાચાર્ય યુનિ.માં પ્રાકૃત-સંસ્કૃત હસ્તપ્રતોમાં રહેલા સાહિત્યનો અભ્યાસ અને સંશોધન કરવા માટે પ્રયત્નો કરવા માટે જૈન શ્રેષ્ઠીઓને હાકલ કરી હતી.કાર્યક્રમમાં ઉપસ્થિત વિદૂષીરત્ના શ્રીચિન્તનપૂર્ણાશ્રીજીએ હસ્તપ્રતમાં રહેલા જ્ઞાનના પ્રચાર પ્રસારની જરૂર છે તેમજ પાટણ યુનિ.માં સાધુ-સાધ્વીઓને એકેડમિક લેવલના અભ્યાસની જરૂરિયાત તેમજ સુવિધા ઊભી કરવા જૈન શ્રેષ્ઠીઓને સૂચન કર્યું હતું. આચાર્યશ્રી પુંડરિક રત્નસૂરિએ વલ્લભીપુરમાં થયેલ સંમેલનને યાદ કરીને જૈન મુનિઓની જ્ઞાનસેવાને બિરદાવી હતી. પોતાના ગુરૂશ્રી જંબૂવિજયજીનું સ્મરણ કરીને જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં જ્ઞાની ગુરૂના આશિર્વાદ અને પ્રેરણાથી જ રાજ્યવ્યવસ્થા ચાલતી હતી. ભારતે કોઇ પણ અન્ય દેશ પર આક્રમણ કર્યું નથી. અનેક વિદેશીઓએ ભારતને લુંટ્યું છતા પણ ભારત ક્યારેય ભાંગી પડ્યું નથી. તેના મૂળમાં ભારતીય જ્ઞાન પરમ્પરા અને સભ્યતા છે.કાર્યક્રમમાં સુશ્રી માનસીબેનનું સન્માનપત્ર આપીને વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત સંસ્થાના અન્ય કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. પાટણની જ્ઞાનપ્રેમીઓ તેમજ જૈન અનુયાયીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. જૈન પ્રાચીન લિપિ અને ભાષાના જાણકારો તૈયાર થાય તેવા સેમિનાર, વર્કશોપ વગેરે અનેક કાર્યક્રમ પણ સંસ્થા ભવિષ્યમાં કરશે તેમ સંસ્થાના વ્યવસ્થાપક યતીનભાઇ શાહે જણાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળસંચાલન ડો. કુણાલ કપાસીએ કર્યું હતું.

Related posts

પાટણનાં મંચ પરથી પ્રથમવાર જ ‘બેઠક’માં ‘યમન, બાગેશ્ર્વરી, મેઘ, ગુર્જર તોડી’ રાગો ગુંજ્યા

mahagujarat

પાટણના કોલેજ કેમ્પસમાં જવાના રેલ્વે નાળાની કફોડી હાલત…

mahagujarat

હેરિટેજ કરાઓકે ગ્રુપ ઓફ પાટણ દ્વારા સંગીત સે સેવાનું આયોજન કરાયું

mahagujarat

શનિવારે જૈનાચાર્યના જન્મ દિને પાટણમાં ડૉક્ટર ફ્રી સેવા આપશે

museb

રામનવમી ના પવિત્ર પર્વ પાટણ ના અંબાજી નેળિયા માં રેડ ક્રોસ પાટણ સંચાલિત મોહનભાઈ એસ પટેલ બ્લડ બેન્ક દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો.

mahagujarat

પાટણ-મહેસાણા-ગોઝારીયા ફોરલેન નેશનલ હાઇવે-ઓવબ્રીજોનું કામ ગોકળ ગાય ગતીએ : 1100 કરોડનો પ્રોજેક્ટ અણઘડનીતિના કારણે અટવાયો

mahagujarat

Leave a Comment