ભાવકોનાં હાથની અને ગરદનની મુદ્રાઓને પણ આલાપ સાથે તન્મય થવું પડ્યું
સાત સૂરોનાં સાધકોએ વિવિધ રાગરાગિણીઓને સૂરમયી સંગતનાં સથવારે કંઠ્ય ગાયનનો અનોખો પરિચય કરાવ્યો…

પાટણમાં સુગમ સંગીત અને ફિલ્મી ગીત સંગીત આધારિત જીવંત વાધ્યવૃંદ કે કરાઓકેની સંગીતમય સરગમનાં સથવારે કાર્યક્રમોની એક લાંબી શૃંખલાની વચ્ચે રવિવારે શાસ્ત્ર્યિ કંઠ્ય અને વાધ્ય સંગીતનો બેઠક જલસો યોજાતાં આજનાં જમાનાની પેઢી માટે લગભગ જટિલ મનાતા આ સંગીત પ્રકારે ૧૦ જેટલા વિવિધ રાગ-રાગિણિઓનાં આલપને માણવાનો સુઅવસર પ્રાપ્ત થયો હતો.

આ શાસ્ત્રિય સંગીતની સૂીરલી રચનાઓ વખતે ભાવકોનાં પગ નહિં પરંતુ તેમનાં હાથની હથેળીઓ અને આંગળીઓ પ્રત્યેક આલાપ અને સ્વરોનાં આરોહ અવરોહ સાથે તન્મય બનીને વિવિધ મુદ્દાઓ રચતા જોવા મળ્યા હતા તો સાથે સાથે મુદ્દાઓને સંગત આપવા બંધ આંખોથી સ્વરો સાથે એકાકાર થવા ગરદનને પણ ગાયન અને વાધ્યોનાં સૂરોમાં ભેળવી ડોલાવી રહ્યા હતાં.
પાટણમાં શાસ્ત્રિય સંગીતનો પ્રથમ પ્રયોગ પાટણની ધ્વનિ કલ્ચરલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટનાં નેજા હેઠળ ધ્વનિ મ્યુજિકલ ગ્રૃપ દ્વારા કરાયો હતો અને તેનાં શ્રોતામાં પણ શાસ્ત્રીય સંગીતનાં આકંઠ ભાવકો જ હતાં.
પાટણનાં શાસ્ત્રીય સંગીતમાં મંચ ઉપરથી સિતાર, તબલાં, ઢોલક, ટ્રમ્પેડ, કિ-બોર્ડ અને હાર્મોનિયમનાં સૂરોએ શાસ્ત્રીય ગાયકોનાં કંઠેથી નિપજેલા ‘સરગમ’નાં સાત પદ ‘સારેગામાપધનિશા’નાં દિર્ધ આલાપથી તમામ દસેય રચનાઓનો આસ્વાદ માણવાનું એક સદ્ભાગ્ય હતું. ‘બઝમ-એ-બંદિશ’ શિર્ષક હેઠળ વિવિધ રાગરાગિણીઓની અઘરી ગાયકી અને કમ્પોઝિશન છતાં કલાકારોએ તેને સહજ આત્મસાત કર્યા હતાં. આ સંગીતમય કાર્યક્રમનો ઉઘાડ ઇશાન રાઠોડ અને મયુર દવેનાં કઠે મેઘરાગમાં ‘ગરજ ગરજ’ રચનાથી થયો હતો. રાગ ‘યમન’માં શિખા નાયકે ‘આધિ દેવ મહાદેવ’ની પ્રસ્તુતિ કરી શિવજીને સંગીતાર્પણ કર્યું હતું. રાત્રે બાગેશ્રીમાં મયુર દવેએ ‘આયો… સજાવો…’, રાગ ‘દુર્ગા’માં ઇશાન દવેએ સખી મોરી રૂમઝુમ, પાટણની પૂજા બારોટે ‘મેઘ’ રાગમાં ‘આયે અતિ ધમુધામ’ પૂજા જોષીએ ‘પૂીરયા ધનવી’ રાગમાં ‘પાયલીયા ઝનકાર’, ગુર્જરી તોડીંગ રાગમાં શિખાનાયકે “ભોર ભયી તોરી બાત, રાગ ભૂપાલી-અહિર ભૈરવનાં સંયોજન સાથેની રચના ‘અલબેલા સજન આયો રે…’ તથા પૂજા જોષીએ રાગ યમનમાં અઘરો પરંતુ લોકપ્રિય બનેલી બંદિશ ઠુમરી ‘આજ જાને કી જીદ ના કરો’નો કર્ણપ્રિય આલાપ છેડીને ‘બેઠક’ને ધ્યાન મગ્ન કરી હતી. બેઠકનાં અંતમાં આ કાર્યક્રમનાં આયોજક ડૉ. સમ્યક પારેખે ભાવકોનાં આગ્રહથી સમાપન રચના પ્રસ્તુત કરી હતી.
આ પ્રસંગે પાલનપુરથી આવેલી મહિલા ભાવક-શ્રોતા આ સંગીત સાથે એટલી ઓતપ્રોત થઇ ગઇ હતી કે તેણે ભાવાવેશમાં કાર્યક્રમનાં આયોજકની પાલનપુરમાં સાલતી ખોટ અન્વયે ભારે અફસોસ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે સંસ્થાનાં પ્રમુખ અશોકભાઇ વ્યાસ વિશે એવું જણાવ્યું કે, પાટણમાં છેલ્લા દશેક વર્ષથી સાંસ્કૃતિક અને સંગીતનાં કાર્યક્રમો થઇ રહ્યા છે.
તેમાં આ અશોકદાદાનું પીઠબળ અને માર્ગદર્શન નોંધનીય બન્યું છે. આ પ્રસંગે કાર્યક્રમની સાંકળ તરીકે ડૉ. સમ્યક પારેખે સંગીત રચનાઓનો પરીચય આપ્યો હતો. કાર્યક્રમમાં અશોક વ્યાસ, ડૉ. શૈલેષ સોમપુરા, ડૉ. ગઢવી, આત્મારામ નાયી સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતાં.
