ભારતીય જ્ઞાન પરંપરાના સંશોધન ક્ષેત્રે પાટણ યુનિ.ના સંસ્કૃત વિભાગનો ડંકો

ભારત સરકારની પ્રતિષ્ઠિત સંસ્થા ઈન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ આઇસીએસએસઆર દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ માટે ‘ભારતીય જ્ઞાન પરંપરા’ અંતર્ગત સંશોધન દરખાસ્તો મંગાવવામાં આવી હતી. આ સ્પર્ધાત્મક પ્રક્રિયામાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના વિવિધ વિભાગોના આઠ અધ્યાપકોએ દરખાસ્ત મોકલી હતી. જેમાંથી સંસ્કૃત વિભાગના પ્રોફેસર ડો. દિલીપ પટેલની દરખાસ્ત મંજૂર કરી સંશોધન કાર્ય માટે રૂ. ૮ લાખનું અનુદાન (ગ્રાન્ટ) ફાળવવામાં આવ્યું છે.
ડો. દિલીપ પટેલ ભારતીય જ્ઞાન પરંપરાને કેન્દ્રમાં રાખીને ‘મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અને નારદસ્મૃતિ આધારિત ન્યાયતંત્ર: આધુનિક કાયદાના અનુસંધાનમાં તુલનાત્મક અભ્યાસ’ વિષય પર ઊંડાણપૂર્વક સંશોધન કરશે. પ્રાચીન ભારતીય ન્યાયશાસ્ત્ર અને આધુનિક કાયદાકીય માળખા વચ્ચેના સેતુ સમાન આ સંશોધન સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે મહત્વનું સાબિત થશે.
કેટલાક કાયદાઓ ભારતીય ધર્મશાસ્ત્રમાં હતા પરંતુ બ્રિટિશ શાસનમાં કોઈને કોઈ કારણે તે રદ થયા. આમાં ઈચ્છા મૃત્યુનો કાયદો, વ્યંઢળના હકો, સ્ત્રી ધન જેવા કાયદાઓ ખાસ ધ્યાન ખેંચે તેવા છે. આજે પણ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ પોતાના ચુકાદો જાહેર કરતી વખતે અનેકવાર ધર્મશાસ્ત્રના ગ્રંથોનો આધાર લેતી હોય છે. તાજેતરમાં આવેલા અયોધ્યા જન્મભૂમિ વિવાદ અંગેના કેસમાં ધર્મશાસ્ત્રના જે રેફરન્સ લેવામાં આવ્યા, આ સિવાય વ્યંઢળ અંગેના ચુકાદામાં પણ ધર્મશાસ્ત્રનો આધાર લેવામાં આવ્યો.
ડો .દિલીપ પટેલનો આ પ્રોજેક્ટ પાછળનો ઉદ્દેશ એ છે કે વર્તમાન સમયમાં કેટલાક નવા કાયદાઓ બનાવવામાં આવે. હાલના કાયદાઓમાં સુધારા કરવામાં આવે અને બિનજરૂરી હોય તે રદ કરવામાં આવે તેવા કેટલાક સૂચનો આ સંશોધનના અંતમાં તારવવામાં આવશે અને તે સરકારને મોકલવામાં આવશે.
આ પ્રોજેક્ટ સંસ્કૃતની સાથે સાથે કાયદા અને અંગ્રેજીના અધ્યાપકની પણ મદદ લેવામાં આવનાર છે. જે આ સંશોધન કાર્યની ગુણવત્તા સફળ બનાવશે. સમગ્ર દેશમાંથી ઈંઈજજછ ને હજારો દરખાસ્તો મળી હતી, જેમાંથી માત્ર ૪૩૪ દરખાસ્તોની જ પસંદગી કરવામાં આવી છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાંથી ૮ જેટલા અધ્યાપકોએ આ માટે અરજી કરી હતી, જેમાં ડો. દિલીપ પટેલની દરખાસ્ત સ્ક્રુટિની અને ઈન્ટરવ્યૂના તબક્કાઓ પાર કરીને પસંદગી પામી છે. ગુજરાતમાંથી ખૂબ મર્યાદિત સંખ્યામાં એકી સંખ્યામાં અધ્યાપકોની પસંદગી થઈ છે, ત્યારે ડો. પટેલની આ સિદ્ધિ યુનિવર્સિટીના સંશોધન સ્તરને રાષ્ટ્રીય ફલક પર ઉજાગર કરે છે.
આ પ્રોજેક્ટ દ્વારા ભારતીય સંસ્કૃતિના જ્ઞાનને આધુનિક સંદર્ભમાં રજૂ કરવાની દિશામાં એક નવું સોપાન સર થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. યુનિવર્સિટીમાં સંશોધન વધે તે માટે યુનિવર્સિટી દ્વારા આ વર્ષે વિષ્ણુ ઘોષની નિમણૂક કરી છે જે કુલપતિ અને કુલસચિવના સીધા માર્ગદર્શનમાં અધ્યાપકોને સંશોધન માટે સહાય કરે છે.
