
પાટણના દ્વારકાધિશ મંદિર હવેલીમાં તાજેતરમાં તૃતીય પીઠાધિશ્ર્વર પ.પૂ.ગો. શ્રી ડૉ. વાગીશબાવાશ્રીની ઉપસ્થિતિમાં શ્રીકૃષ્ણ ભંડારનાં વાસ્તુપૂજન નિમિત્તે ત્રીદિવસીય મહોત્સવ ભવ્યાતિભવ્ય રીતે યોજાઇ ગયો. આ પ્રસંગે મંદિર પરીસરમાં તૈયાર કરાયેલ શ્રીકૃષ્ણ ભંડારના વાસ્તુપૂજન નિમિત્તે બડોમનોરથ (છપ્પનભોગ) સહિત વિવિધ મનોરથો-દર્શન યોજાયા હતા. તા. 1-3-2026ના રોજ યોજાયેલ છપ્પનભોગ દર્શનનો ખૂબ મોટી સંખ્યામાં વૈષ્ણવોએ લાભ લઇ ધન્યતા અનુભવી હતી. તા. 28-2-2026ના રોજ શ્રીકૃષ્ણ ભંડારનું વાસ્તુપૂજન પ.પૂ.ગો.શ્રી ડૉ. વાગીશકુમારજીની ઉપસ્થિતિમાં આ ભવનના મુખ્યદાતા પ.ભ. શ્રી ધીરૂભાઇ પી. ઠક્કર અને તેમના પરિવારજનો અને આ ભવન નિર્માણ માટે દાન આપનાર દાતા પરિવારોની હાજરીમાં યોજાયેલ. આ ત્રિદિવસીય મહોત્સવમાં નંદ મહોત્સવ, હોલીકે રશીયા, ફૂલફાગનો મનોરથ, કુનવારો, ગુલાબી ઘટાના દર્શન મનોરથો દર્શન યોજાયેલ. પ.પૂ.ગો શ્રી ડૉ. વાગીશબાવાશ્રીએ બ્રહ્મસંબંધ દિક્ષા આપેલ. 28મીની રાત્રે કમલેશ સ્વામી ઓરકેષ્ટ્રાના સંગીત સાથે રાસગરબાનો ભવ્ય કાર્યક્રમ યોજાયેલ. જેમાં વૈષ્ણવોએ ખૂબ મોટી સંખ્યામાં લાભ લીધેલ.

છપ્પનભોગના પ્રસાદનું વિતરણ
આ ત્રિદિવસીય મહોત્સવ દરમ્યાન યોજાયેલ છપ્પનભોગના દર્શન મનોરથ 32 ડબ્બા શુધ્ધ ઘીનો અને વિવિધ સામગ્રીનો ઉપયોગ કરી દ્વારકાધિશ પ્રભુ સમક્ષ અંગીકાર કરાયેલ. પ્રસાદનું વિતરણ મહોત્સવના બીજા દિવસથી દાતાઓ-વૈષ્ણવોને શરૂ કરવામાં આવેલ.
પાટણ દ્વારકાધિશ મંદિરના ટ્રસ્ટીઓ શ્રી કૌશિકભાઇ સોની અને તેમની ટીમ દ્વારા આ વખતે આ પ્રસાદ શ્રી દ્વારકાધિશ મંદિર મહેસાણા, વિસનગર, વડનગર, ઊંઝા, સિધ્ધપુર, પાલનપુર તેમજ ખીમયાણા વૃધ્ધાશ્રમના વડીલો, મહાપ્રભુજીની બેઠક-સિધ્ધપુર, શ્રી ગોવર્ધન નાથજીની હવેલી ડીસા ખાતે તેમજ સર્વમંગલમ્ આશ્રમ સાગોડીયા, બહેરામૂંગાની શાળા-પાટણના બાળકો, જલારામ મંદિર તેમજ પાટણના પ્રખ્યાત હરતા ફરતા રામરહીમ અન્નક્ષેત્રના 450 જેટલા લાભાર્થીઓ-પરીવારોને છપ્પન ભોગના પ્રસાદનું વિતરણ કરવાનું પ્રસંનીય કાર્ય કરાયેલ.
અત્રે ઉલ્લેખનીય છે કે પુષ્ટી સંપ્રદાયનું પાટણનું શ્રી દ્વારીકાધિશનું મંદિર આજે ભવ્યાતીભવ્ય અને સંપૂર્ણ પુષ્ટી સંપ્રદાયને સમર્પિત સેવા ધામ બન્યું છે. અહીં ગૌશાળા-પાઠશાળા સાથે સંસ્કાર કેન્દ્ર બન્યું છે. આ પ્રસંગે તેમાં વર્ષોથી સમર્પિત પૂર્વ સેવાધારી-વહીવટકર્તાઓનું સ્મરણ કરી સન્માનીત કરાયા હતા. આ ભવ્ય મંદિરમાં યોગદાન આપનાર બધા જ ભવ્ય મનોરથોના મનોરથી પ. ભગવદીય શ્રી ધીરૂભાઇ ઠક્કર (ટેક્ષ સલાહકાર) પરિવારના પ.ભ. કનુભાઇ – ડૉ. સુનીલભાઇ (નિધી હોસ્પિટલ-અમદાવાદ), પ.ભ. પ્રદીપભાઇ (બિલ્ડર), પ.ભ. પિયુષભાઇનો સમગ્ર પરિવાર વૈષ્ણવોના સત્કાર કરવા સાથે યજમાન બન્યો હતો. પાટણના વૈષ્ણવો એ ત્રણે દિવસે આચાર્યશ્રીની ઉપસ્થિતિમાં ખૂબ પ્રસન્નતાથી લાભ લીધો હતો.


