* શાળાને ડેસ્ક, રમકડાં, બ્લેક બોર્ડ અર્પણ કરાશે.
* શાળાઓના બધા જ બાળકોને ગણવેશ અને સ્કૂલબેગ અપાશે.
* શાળાને ખુરશીઓ અપાશે
* શાળાના સ્થાપક ડૉ. પંડ્યા સાહેબ અને મણીલાલ માધવલાલ દવેની તકતીનું અનાવરણ કરાશે

પાટણ શહેરની એક માત્ર સો વર્ષ પૂર્ણ કરી ચૂકેલી શૈક્ષણિક સંસ્થા ‘ડૉ. પંડ્યા અભ્યાસગૃહ’ જેના સ્થાપક શ્રી ડૉ. ઠાકોરલાલ પંડ્યા સાહેબ હતા અને ગાંધીરાહે એનો સર્વાંગી વિકાસ શ્રી મણિલાલ માધવલાલ દવેએ કર્યો હતો. આ બંને મહાનુભાવોની ફોટા સહિતની કાયમી તકતીનું અનાવરણ શાળાના પરિસરમાં જ કરવાનું નિરધાર્યું છે.
હાલ, ઉત્તર ગુજરાત યુવક મંડળની રાહબરી હેઠળ સુપેરે સંચાલિત થઇ રહેલી આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સાત મહિના પહેલાં જ એક સંગઠન ‘ડૉ. પંડ્યા અભ્યાસગૃહ એલ્યુમની એસોસિએશન’ને નામે સુગઠિત થયેલું છે. આ એસોસિએશને પોતાના આજીવન સભ્યો તથા સામાન્ય સભ્યો દ્વારા દાન પેટે સારી એવી રકમ પ્રાપ્ત કરી છે. જે આ શાળામાં હાલ ભણતાં બાળકોની સુખ-સુવિધા, સગવડ અને મનોરંજન માટે ખર્ચવાની એસોસિએશનની નેમ છે. આ શાળામાં બાળકો શરૂઆતથી જ વર્ગખંડોમાં નીચે બેસીને જ અભ્યાસ કરતાં રહ્યાં છે, જે ખૂબ જ અસુવિધાજનક અનુભવાયું છે અને તેથી એસોસિએશને સૌ પહેલું કામ આ શાળાને બેન્ચીસ-ડેસ્કસ વગેરે પૂરું પાડવાનું નક્કી કર્યું. આ નેક કામમાં સહભાગી થઇને પાટણની બી.ડી. હાઇસ્કૂલમાંથી સેવારત પાટણ જૈન મંડળ, મુંબઇએ બ્લૅક-બોર્ડ તથા રમકડાં સહિતની મદદ પૂરી પાડી. ત્યાર બાદ તો દાનની સતત સરવાણીઓ વહેવા લાગી છે અને શાળાના બાળકો માટે સંપૂર્ણ ગણવેશ (સ્કૂલ યુનિફોર્મ્સ) એસોસિએશને તૈયાર કરાવ્યાં. સિંગાપોરવાળા દિપકભાઇ પરીખ તરફથી સ્કૂલ બૅગ્સ પણ પૂરી પાડવામાં આવી છે. જે શાળાના બધા જ બાળકોને અપાશે. 
આ શાળામાં અભ્યાસ કરી ચૂકેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંગઠનનો એક માત્ર ધ્યેય શાળામાં હાલ ભણતા અને હવે પછી દાખલ થનારા તમામ બાળકોને શક્ય તેટલી બધી જ જરૂરી સગવડો મળી રહે તે જ છે. શાળાના કે મંડળના હેતુ, સંચાલન કે વહીવટમાં કોઇપણ પ્રકારનો ચંચુપાત કર્યા વગર માત્ર શાળાના બાળકોના ભણતર સંબંધી અને એમના ઉત્કર્ષ માટે તથા સુવિધાજનક ભાવિ વિકાસ માટે પ્રયત્નશીલ રહેવું, પ્રાસંગિક આયોજનો કરવાં તથા અભ્યાસલક્ષી સેમિનાર યોજના એ જ માત્ર એસોસિએશનનો ઉમદા હેતુ છે.

પ્રસ્તુત અનુસંધાનમાં આગામી તા. ૧૯-૦૮-૨૦૨૫ને મંગળવારના રોજ સવારના ૯ થી ૧૧ દરમિયાન ગિરધારી રોડ પર આવેલા રામજી મંદિર હૉલમાં આ શાળાના તમામ બાળકો માટે ઉપર જણાવેલા તમામ સાધન-સુવિધાઓ, સગવડો, ચીજવસ્તુઓને બાળાર્પણ તથા શાળાર્પણ કરવાનો એક સરસ મજાનો સોહામણો કાર્યક્રમ યોજવા જઇ રહ્યા છીએ. આ પ્રમાણે ‘ડૉ. પંડ્યા અભ્યાસગૃહ એલ્યુમની એસોસિએશન, પાટણ’ના પ્રમુખશ્રી અશોકભાઇ વ્યાસ (દાદા), ઉપપ્રમુખશ્રી હર્ષદભાઇ ખમાર તથા મંત્રીશ્રી ડૉ. અતુલભાઇ અગ્રવાલે જણાવ્યું હતું.
આ તબક્કે આ શાળાના તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તન-મન-ધનથી આ એસોસિએશનમાં જોડાય અને યથાશક્તિ-યથોચિત દાનનો પ્રવાહ વહાવે અને ખભેખભા મિલાવીને શાળાના વિકાસ માટે નિષ્ઠાપૂર્વક પ્રયત્નશીલ રહે એવી એક માત્ર વિનંતી કરવામાં આવી છે.
