જન્માષ્ટમીની સલૂણી પૂર્વ સંધ્યાએ પાટણના અપીએમસી હોલમાં પાટણની જાણીતી સંગીત સંસ્થા “ધ્વનિ સંગીત પરિવાર તથા પરીખ ચશ્મા ઘરના સંયુક્ત ઉપક્રમે કૃષ્ણભક્તિમાં સરાબોર રસતરબોળ કરી દેતા પ્રાચીન-અર્વાચીન ગીતો તથા ભજનોનો એક અનોખો કાર્યક્રમ યોજાઇ ગયો. સામાન્ય રીતે ભજનનો કાર્યક્રમ મંદિરમાં કે કોઇના ઘરે કોઇક એવા પ્રસંગે યોજાતો હોય છે, પરંતુ આ પ્રકારનો કાર્યક્રમ જાહેરમાં યોજાવો અને તેમાંય આખોય હૉલ ખીચોખીચ ભરાઇ જવો એ પાટણ માટે અભૂતપૂર્વ ઘટના ગણાય.

ડૉ. સમ્યક પારેખના કુશળ માર્ગદર્શન હેઠળ શુધ્ધ શાસ્ત્રીય પધ્ધતિથી તૈયાર થયેલા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ ‘નાગર નંદજીના લાલ’ થી માંડીને ‘હવેલી બંધાવી દઉં તારા નામની’ સાંગીતિક રચનાઓ એક પછી એક આશા રાવલ, ખ્યાતિ નાયક-ભાવસાર, શિતલ રાજપુત, શિખા નાયક, વિદિશા મોદી, ઇશાન રાઠોડ અને સમ્યક્ પારેખ જેવા નિવડેલા કલાકારોએ રજૂ કરીને સૌ વૈષ્ણવોને ડોલાવી દીધા હતા. આ ભરચક કાર્યક્રમમાં માન્યા, દૃષ્ટિ, એલિન, દેવલ, પ્રાચિ જેવી નાનકડી બાળાઓએ ‘ઓ શ્રીનાથજી આવજો તમે’ ગાઇને સૌના મન મોહી લીધા હતા. વાદક કલાકારો મયુર યોગી, જીગર બારોટ, વિજય સોલંકી, આકાશ વાઘેલા, કલ્પેશ પ્રજાપતિ, વગેરેએ પોતાની ઉત્કૃષ્ટ વાદનકલા પ્રસ્તુત કરી કાર્યક્રમને ઓર રસમય બનાવ્યો હતો. જ્યારે નેહલબેન, ઝલક, વિધી, દિવ્યા, કૃપા, કિંજલ વગેરેએ સામૂહિક સ્વરોમાં સુરીલો સાથ આપ્યો હતો.

શ્રી જયેશભાઇ પરીખના યજમાન પદે અને અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ ભક્તિસભર કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડૉ. અતુલભાઇ અગ્રવાલ, અતિથિ વિશેષશ્રીઓ હિતેશભાઇ પરીખ, ભાર્ગવભાઇ ચોક્સી, કૌશિકભાઇ સોની તથા હર્ષદભાઇ ખમારે ઉપસ્થિત રહી આ શુભ પ્રસંગને દીપાવ્યો હતો. આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ અશોકભાઇ વ્યાસ, ઉપપ્રમુખ ડૉ. શૈલેષભાઇ સોમપુરા, મંત્રી અતુલભાઇ નાયક, ખજાનચી અશ્ર્વિનભાઇ નાયક, કારોબારીના તમામ સભ્યો તથા પાટણ શહેરના નામાંકિત સન્નારીઓ તથા સજ્જનો અને વૈષ્ણવજનોએ છેક સુધી હાજર રહી આ અદ્ભૂત પ્રસંગને મનભેર માણ્યો હતો અને બિરદાવ્યો હતો. પોતાની રસાળ શૈલી અને કૃષ્ણભક્તિના અવનવા પ્રસંગો ટાંકીને કિશોરભાઇ રાવલે આખાયે કાર્યક્રમનું સુપેરે મજાનું સંચાલન કર્યું હતું.

