કલાગુરૂ મોનાબેનની રાહબરી નીચે ૨૦૦૦ જેટલી વિદ્યાર્થિનીઓએ નૃત્ય જ્ઞાન પ્રાપ્ત કરી ચુકી છે : ૫૮ વિદ્યાર્થિનીઓએ આરંગેત્રમ્ પૂર્ણ કરેલ છે

ઉત્તર ગુજરાતની પ્રસિધ્ધ નૃત્ય-કલા સંસ્થા ‘નર્તન’નો ખુબ જાજરમાન કાર્યક્રમ ‘નૃત્યોપાસના’ ઉ.ગુ. યુનિવર્સિટીના ક્ધવેશન હોલમાં ચિક્કાર પ્રેક્ષકોની હાજરીમાં તાજેતરમાં દબદબાપૂર્વક યોજાઇ ગયો. આ કાર્યક્રમના ઉદ્ઘાટકશ્રી અશોકભાઇ વ્યાસ, ડૉ. જીતુભાઇ પટેલ, શાંતિભાઇ સ્વામી, કલેશભાઇ સ્વામી, હાર્દિકભાઇ રાવલ તથા મહાગુજરાત સાપ્તાહિકના તંત્રી હર્ષદભાઇ ખમાર, જીતુભાઇ ઓતિયા વગેરેએ દીપ પ્રાગટ્ય કરીને સમારંભની શુભ શરૂઆત કરાવી હતી.

પાટણના વતની અને આખાય ઉત્તર ગુજરાતમાં નૃત્ય કલાક્ષેત્રે પોતાની આગવી નામના પ્રાપ્ત કરનાર કલાગુરૂ શ્રીમતી મોના નાયકની રાહબરી હેઠળ અને એમની બે સુપુત્રીઓ આયુષી નાયક અને ધ્વનિ પ્રતીકના માર્ગદર્શન તળે તાલીમબધ્ધ થયેલી ૩ વર્ષથી માંડીને ત્રીસી વટાવી ચૂકેલી નૃત્યાંગનાઓએ પોતાની અનોખી છટા અને ભાવભંગિમાંઓ દ્વારા પ્રેક્ષકોને તાળીઓના ગડગડાટથી હોલને ગુંજવી નાખવા મજબૂર કરી દીધા હતાં.

મોનાબેને સુપ્રસિધ્ધ કલાગુરૂ ઇલાક્ષીબેન ઠાકર પાસે નૃત્યની તાલીમ લીધી છે. વર્ષ ૧૯૯૨માં પાટણ અને અમદાવાદ ખાતે શરૂ થયેલી મોનાબેનની નૃત્ય સંસ્થામાં અત્યાર સુધી ૨૦૦૦ જેટલી વિદ્યાર્થિનીઓ નૃત્ય-જ્ઞાન પ્રાપ્ત કરી ચૂકી છે. ૫૮ વિદ્યાર્થિનીઓએ આરંગેત્રમ પૂર્ણ કરેલ છે. હાલ એમની નૃત્ય સંસ્થામાં ૧૩૦ વિદ્યાર્થિનીઓ પોતાનો નૃત્યાભ્યાસ કરી રહી છે. ૬૨ વિદ્યાર્થિનીઓ તો વિશારદની પદવી પ્રાપ્ત કરી ચૂકી છે.

નૃત્યકલા આપણી પુરાતન સંસ્કૃતિ છે અને આ વારસાને જાળવવા અને આગળ ધપાવવા મોનાબેન પાટણ ઉપરાંત પાલનપુર, ડીસા, ઊંઝા, વિસનગર, અમદાવાદ ખાતે વિદ્યાર્થિઓને તાલીમબધ્ધ કરી રહ્યા છે, અને પોતાનું તથા પાટણનું નામ રોશન કરી રહ્યા છે.

આ કાર્યક્રમમાં અશોકભાઇ વ્યાસે ‘ભરતનાટ્યમ્’ નૃત્ય શૈલીની ઝીણામાં ઝીણી વિગતો રજૂ કરીને નૃત્યકલાજ્ઞાન રજૂ કર્યું હતું. જાણીતા ઉદ્ઘોષક અશોકભાઇ ત્રિવેદીએ રસપ્રચુર શૈલીમાં આ કાર્યક્રમનું સુંદર સંચાલન કર્યું હતું.

