Maha Gujarat
Other

60 હજાર થી વધારે પુસ્તકો ધરાવતુ પાટણ નું 134 વર્ષ જૂનું શ્રીમંત ફતેસિંહરાવ સાર્વજનીક પુસ્તકાલય

પધારો..પાટણનું પુસ્તકાલય બોલાવે છે આપને
પુસ્તકાલય એટલે સમયનાં બંધનમાં પુસ્તકપ્રેમીઓનાં શાંતિપૂર્ણ મૌનવ્રત હાજરી વચ્ચે ખપ પુરતા બોલાતા ધીમા શબ્દો વચ્ચે એકબીજાના હાથમાં ફરતાં છાપાં, મેગેઝિન તથા પુસ્તકનું આદાનપ્રદાનનું સરસ્વતીધામ.
પરંતુ એકવીસમી સદીમાં પુસ્તકાલય ઉપયોગનું ચલન ઘણું ઓછું થઈ ગયું છે, પરંતુ જે પુસ્તકાલયનાં પ્રમુખશ્રી, મંત્રીશ્રી અને કારોબારી સમિતિના સભ્યો, ટ્રસ્ટીઓ ઉત્સાહી, સર્જનાત્મક અને સકારાત્મક વલણ સાથે એકમત થઈ સર્વાનુમતે ઉત્કર્ષ કામગીરી કરે ત્યારે પુસ્તકાલય અને તેની પ્રવૃત્તિઓ જીવંત બની જાય છે.
વાચકગણ તથા દાતાશ્રીઓને લાયબ્રેરીની મુલાકાત લેવાની ઉત્સુકતા જાગે છે. સંસ્થાની પ્રગતિ માટે વિચારોનું આદાનપ્રદાન થતું રહે છે.
ગુજરાતનાં એક સમયનાં વિશ્વ પ્રસિદ્ધ પાટનગર પાટણમાં સોલંકી મૂળરાજદેવ તથા મહારાજા સિદ્ધરાજદેવ જયસિંહ, કુમારપાળ તથા શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ સમયથી પુસ્તકાલય પ્રવૃત્તિ ધમધમે છે.
ગુજરાત સરકાર દ્વારા આ લાઇબ્રેરી ને ગુજરાતની વિશિષ્ટ પ્રકારની લાયબ્રેરીમાં સ્થાન આપવામાં આવ્યું છે.
એવી 134 વરસ પ્રાચીન આ શ્રીમંત ફતેહસિંહરાવ પુસ્તકાલયમાં મહિલા પુસ્તકાલય તથા સિનિયર સિટીઝન માટે વિવિધ ચેનલ સહિત વિધ્યાથીઁઓ માટે ઈ. લાયબ્રેરી જેવા પ્રકલ્પ શરુ કરવા તેમજ જૂનાં બાંધકામમાં આધુનિક જીર્ણોદ્ધાર કાર્યનો પ્રારંભ થયો છે.
વર્તમાન દીર્ઘદ્રષ્ટા પ્રમુખશ્રી ડાઁ. શૈલેશ સોમપુરા મંત્રીશ્રી મહાસુખભાઈ મોદી (વહેપારી મંડળનાં પ્રમુખ) તથા સક્રિય હોદ્દેદારોની ટીમ તથા સાહિત્યનાં સાચાં સાધકોની સિનિયર સિટીઝન્સ ટીમ અનુશાસન અને એકબીજાના સંપર્કમાં રહીને પુસ્તકાલયમાં ચાલી રહેલ વિવિધ પ્રકલ્પોની રચનાત્મક કામગીરી ગુજરાતમાં ઘણા સુષુપ્ત અવસ્થામાં રહેલાં પુસ્તકાલયો માટે પ્રેરણાદાયી પ્રેરકબળ સાબિત થાય તેમ છે.


60,000 હજારથી વધારે લોકોપયોગી પુસ્તકો ધરાવતી આ લાયબ્રેરીમાં પચ્ચીસેક દૈનિક વર્તમાનપત્ર તથા બેંતાળીસ જેટલા મેગેઝિન્સનો નિયમિત વિદ્યાર્થીઓ સહિત પાટણવાસી વાચકગણ ભરપૂર લાભ લઈ રહ્યા છે.
જેમ મોટાં શહેરોમાં દર્દી માટે દવાની દુકાન ચોવીસ કલાક ચાલુ રહે છે બસ એમજ જ્ઞાન પિપાસુ વિધ્યાથીઁઓનાં માટે ચોવીસ કલાક સતત આ પુસ્તકાલય ચાલુ રહે છે.
લાયબ્રેરી માત્ર પુસ્તકની કામગીરી જ નથી કરતું, પરંતુ પ્રમુખશ્રી તથા તેમની કાર્યદક્ષ ટીમ તથા લાયબ્રેરી સ્ટાફ દ્વારા પુસ્તકોને બહાર લઇ જઇ ‘લાયબ્રેરી આપના દ્વારે દ્વારે’ કાર્યક્રમ અંતર્ગત પુસ્તકપ્રેમી વહેપારીઓને શહેરની દુકાને દુકાને ફરીને સાતસો આઠસો ઉપરાંત સભ્યો બનાવી ‘વાચકગણને ઘેરબેઠાં સરસ્વતી’ નો લાભ સિનિયર સિટીઝન્સ સભ્યો દ્વારા ઘેર બેઠાં પુસ્તક આપીને યુવાનોને શરમાવે તેવી કામગીરી પાટણમાં કરી રહ્યા છે.
ગત સાલે નગરપાલિકા અને દાતાશ્રીઓનાં સહકારથી રાહદારીઓ માટે પાણીની શીતલ જળ પરબધામનું લોકાર્પણ કરેલ, તો બીજી તરફ નગરનાં વિદ્યાર્થીઓને પુસ્તકાલયનાં આસ્થા હોલમાં સામાન્ય વ્યક્તિને પોષાય એવી ફીમાં સતત કોમ્પ્યુટરનાં વિવિધ કોર્ષ બેરોજગાર યુવાનો માટે ઉપયોગી સાબિત થયા છે. સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં કોમ્પ્યુટર શિખવાડી, તેમને પગભર બનાવવામાં અગ્રેસર બનીને 500 ઉપરાંત યુવાનોને રોજગારી અપાવવા નિમિત્ત બનેલ છે.
આર્ટ, મહેંદી, રસોઈ, બ્યુટી પાર્લર જેવા વિવિધ કોર્ષનો પાટણવાસી મહિલાઓ તથા દીકરીઓ ખૂબજ મોટીસંખ્યામાં સંતોષ સાથે લાભ લઈ રહ્યા છે. ઘણી જરુરિયાતમંદ બહેનો અહિ બ્યુટી ટ્રીટમેન્ટ ટ્રેનિંગ લઈ પગભર થવાની દિશામાં આગળ વધી રહી છે. એવું કહી શકાય કે, ભવિષ્યમાં પાટણ શિક્ષણ અને આરોગ્યની સાથે સાથે બ્યુટી પાર્લરનું હબ બની શકે છે. તાજેતરમાં 30 બહેનોને બ્યુટી એડવાન્સનો કોર્ષ માટે એક દાતાશ્રીએ 61000/-નું દાન આપતાં સામાન્ય ફીમાં એકપણ રજા પાડ્યા સિવાય ઉત્સાહથી બહેનો લાભાવંત થઈ રહ્યા છે.
પરીક્ષાલક્ષી તૈયારીઓ કરવા માટે વિદ્યાર્થીઓ માટે પુસ્તકાલયનાં દરવાજા ચોવીસ કલાક ખૂલ્લા રહેતાં હોવાથી ગુજરાતમાં આગવી ઓળખ ઉભી કરી છે. અને ગુજરાત સરકારે પણ પુસ્તકાલયનાં કાર્યો માટે રાજીપો વ્યકત કરેલ છે.
લાયબ્રેરીમાં દાતાશ્રી સ્વ. કીર્તિકુમાર જયસુખરામ પારધી પરિવારનાં દાન થકી છેલ્લા ત્રણેક વર્ષથી મને જાણો કાયઁક્મ આયોજન કરી વિવિધ પુસ્તક ઉપર તજજ્ઞ વક્તાને બોલાવી દર માસે પ્રથમ અને તૃતીય રવિવારે સાંજે પાંચ વાગ્યે દાતાશ્રી દ્વારા બનાવવામાં આવેલા આસ્થા હોલમાં વ્યાખ્યાન સાહિત્યપ્રેમીઓને પીરસવામાં આવે છે. આ કાર્યક્રમની વિશેષતા એ છે કે, કોઈપણ સંજોગોમાં આયોજક તથા સાહિત્ય ઉપાસક શ્રોતાઓ સમયપાલનનાં દ્ઢ આગ્રહી હોવાથી દરેક કાર્યક્રમ સ-રસ, સફળને ઉત્સાહપ્રેરક, યાદગાર બની જાય છે. પાટણનાં પોજેટિવ પત્રકારગણ, તંત્રીશ્રીઓ પણ સાહિત્યનો કાર્યક્રમ હોવા છતાં નિસ્વાર્થ સમાચારનું સુંદર કવરેજ આપીને સંસ્થાની પ્રવૃત્તિથી લોકોને અવગત કરાવી રહ્યા છે. આવનાર વકતા સમયપાલન જોઈ પ્રભાવિત થઈ મને જાણો કાયઁક્મની આગવી છાપ લઈને જાય છે.
પાટણનાં જૈન શ્રેષ્ઠી દાતાઓ સહિત દરેક સમાજનાં નગરજનો પુસ્તકાલયની ઉમદા પ્રવૃત્તિઓ અને પારદર્શક વહીવટ જોઈ મનભરીને સામે ચાલીને દાન આપવામાં ગૌરવ અનુભવે છે.
તાજેતરમાં નગરશેઠે પ્રમુખ ડાૅ. સોમપુરાની ક્લિનિકની મુલાકાત લીધી. ડોક્ટરે તેમની શૈલી મુજબ પુસ્તકાલય રિનોવેશન તથા આગામી કાર્યક્રમોની વાત કરતાં દાતાએ પુસ્તકાલયની રુબરુ મુલાકાત લીધી, કામગીરીથી સંતુષ્ટ થઈ વગર માગે પુસ્તકાલયનાં જીર્ણોદ્ધાર માટે શ્રીમતી રચનાબહેન વિક્રમભાઈ નગરશેઠ પરિવારે રુ. પાંચ લાખનો ચેક સહર્ષ આપ્યો. અરે! હાલ અમેરિકામાં રહેતા ખીમિયાના ગામનાં શ્રી નાથાલાલ એમ. પટેલ એ ન્યૂઝ પેપરમાં પુસ્તકાલયની જીર્ણોદ્ધાર પ્રવૃતિ જોઈને એકવીસ હજાર રુપિયા મોકલી આપ્યા. તો રુ. 21,000 શ્રી હર્ષદભાઈ મોદીસાહેબ તરફથી ભેટ આપવામાં આવ્યાં છે. રુ. 5100 શ્રી બીપીનભાઈ સોમપુરા તરફથી તો મહેસાણાથી શ્રી રમેશભાઇ વૈષ્ણવ વક્તા તરીકે મને જાણો કાર્યક્રમમાં આવેલા ત્યારે પુસ્તકાલય પ્રવૃત્તિ નજરે જોઇને રુ2500 ભેટ આપ્યાં.
કોઈ એકાવન સો રૂપિયા આપે તો કોઈ એક હજાર, પરંતુ સ્વયંભૂ પાટણવાસીઓ દ્વારા પુસ્તકાલયનાં નવસર્જન માટે યથાશક્તિ ખુલ્લા મનથી દાન સરવાણી વહેતી થઈ છે. એ જ બતાવે છે કે, જો સંસ્થાનાં હોદ્દેદારોમાં એકતાને સહકારથી પારદર્શક સકારાત્મક, સર્જનાત્મક સુંદર કામગીરી હાથ ધરવામાં અગ્રેસર બને તો સંસ્થાના કોઈપણ સારા કાર્ય નાણાં અભાવે અટકી જતાં નથી.
134 વરસ પ્રાચીન શ્રીમંત ફતેહસિંહરાવ પુસ્તકાલયનાં જીર્ણોદ્ધાર કાર્યનો વર્તમાન પ્રમુખશ્રી શૈલેશ સોમપુરા સાહેબનાં માર્ગદર્શનમાં હોદ્દેદારો, સ્ટાફ તથા સાહિત્યનાં સાચાં સાધકોની સિનિયર સિટીઝન્સ ટીમનાં અનુશાસનને કાર્ય કરવાની ધગશને કારણે પુસ્તકાલયનાં જીર્ણોદ્ધારની સાથે સાથે ભવિષ્યમાં વિધ્યાથીઁઓનાં ઉજ્જ્વળ કારકિર્દી માટે ઈ લાયબ્રેરીનાં આયોજનની સાથે સાથે મહિલાઓ માટે મહિલા લાયબ્રેરીની તથા વૃદ્ધો માટે ચેનલ હોલ બનાવવાનો સંકલ્પ દાતાશ્રીઓનાં સહકારની અપેક્ષાએ કરેલ છે.
ઘરનાં મોભીને વૃદ્ધત્વે પહોંચ્યા બાદ એકલતાની સાથે ટી.વી. પર મનગમતી ચેનલ જોવાની સ્વતંત્રતામાં ઓટ આવે તેવી સંભાવના દરેક ઘરમાં મહદઅંશે ઉભી થાય છે, મંડળના પ્રમુખશ્રી શૈલેશભાઇ સોમપુરા પુસ્તકાલયમાં જ પાટણનાં પ્રબુદ્ધ સિનિયર સિટીઝન્સ વાચકગણ એકલતાને દૂર કરી પોતાની મનગમતી ચેનલ જોઇ શકે, મનભરીને માણી શકે. તેવી અદ્ભુત ગોઠવણી કરવાનો સંકલ્પ કર્યો છે.


વાચક વિધ્યાથીઁઓનાં વાંચન લાભાર્થે ચોવીસ કલાક સતત ચાલતી જીવંત ધબકતી લાયબ્રેરીમાં જીર્ણોદ્ધાર કરીને એક નવો ઓપ આપવામાં આવી રહયો છે ત્યારે પાટણવાસી જેઓ બાળપણમાં, યૌવનમાં પુસ્તકાલયની મુલાકાત લીધી હતી, અને આજે સમય અભાવે કે, વતન બહાર હોવાથી તાજેતરમાં પુસ્તકાલયની મુલાકાતથી વંચિત રહ્યા છે, એ તમામ સાહિત્ય પ્રેમીઓને એકવાર વર્તમાન લાયબ્રેરીની તથા પ્રમુખ મંત્રીને હોદ્દેદારોની પ્રત્યક્ષ મુલાકાત લેવા જેવી ખરી હૌંકે!
શ્રીમંત ફત્તેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલયની ધમધમતી વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓ તથા હોદ્દેદારોની નિસ્વાર્થ સેવા નજરે જોઇને આપનો હાથ આપોઆપ દાનપાત્ર યોગ્ય વ્યકિતને, યોગ્ય સંસ્થાને યથાશક્તિ દાન આપવા અચુક પ્રેરાઈને સારું કાર્ય કરવાનો સંતોષ પ્રાપ્ત થશે!
એકવાર પધારો શ્રીમંત ફત્તેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલયની મુલાકાતે મને જાણો કાર્યક્રમનો આસ્વાદ માણવા!
પુસ્તકાલયનાં જીર્ણોદ્ધાર માટે આપ આપી શકો તો ફુલ આપો, નહીં તો આપના દ્વારા અપઁણ થનારી ફુલની પાંખડી પણ પુસ્તકાલયનાં જીર્ણોદ્ધારનાં મોરપીંછ બની ચોક્કસ દીપી ઉઠશે!
સદકાયઁમાં છૂટાં હાથે દાન આપતા પાટણવાસીઓ પુસ્તકાલયનાં કર્મવીર હોદ્દેદારોની ટીમના પારદર્શક વહીવટ થકી આરંભેલું નવસર્જનનું સપનું પૂર્ણ કરવા માટે ખોબલાં ભરીને દાન આપશે જ. એટલો વિશ્વાસ તો પાટણની પ્રભુતાને નગરનાં શ્રેષ્ઠીદાતાઓ જોઇને આવ્યો છે.
આવો છો ને? પુસ્તકાલયની પ્રવૃતિઓ જોવા?પધારો… આપની એક મુલાકાત, યાદગાર બની રહેશે! આપના અને પુસ્તકાલય માટે હૌંકે!
જયોતીન્દ્ર કા ભટ્ટ
સાહિત્ય સજઁન, સિદ્ધપુર.

Related posts

પાટણના નગરદેવીના પ્રાચીન મંદિરમાં ચૈત્રી નવરાત્રિ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાશે

museb

પાટણના કોલેજ કેમ્પસમાં જવાના રેલ્વે નાળાની કફોડી હાલત…

mahagujarat

શહેર ભાજપ દ્વારા સંપર્કથી સમર્થન કાર્યક્રમ. શહેરના વિવિધ અગ્રણીઓની મુલાકાત લીધી

mahagujarat

“જીવન એક આનંદોત્સવ” વિષય અંતર્ગત જાણીતા લેખિકા અને મહર્ષિ અરવિંદના સાધિકા સુ.શ્રી જ્યોતિબેન થાનકીનું માનનીય વક્તવ્ય યોજાયું .

mahagujarat

શ્રી રોટલીયા હનુમાનજીનો પ્રથમ પાટોત્સવ-રોટલીયોત્સવ ઉજવાશે

mahagujarat

અમદાવાદના ‘આર.બી.ઝેડ’-હરિત ઝવેરી 100 કરોડનો આઇ.પી.ઓ. લાવી રહ્યા છે

museb

Leave a Comment