Maha Gujarat
IndiaMehsanaOtherPatanજગ્યાજિલ્લોરાજકીયરાજ્યરાષ્ટ્રીય

પાટણમાં પહેલીવાર યોજાયો કીર્તિદાનનો અનોખો ડાયરો : પાટણનું આ અનોખું મંદિર

પાટણના રોટલિયા હનુમાન મંદિરે 50 હજાર રોટલીનો પ્રસાદ લઈને ભક્તો પહોંચ્યા

આ ડાયરામાં 10 લાખથી વધુની નોટો લોકોએ ઉડાવી

પાટણ શહેરમાં રોટલીયા હનુમાન દાદાનું ભવ્ય મંદિર આવેલું છે. આ મંદિરનો પ્રથમ પાટોત્સવ ગયા રવિવારે યોજાયો હતો. આ ડાયરામાં કીર્તિદાન ગઢવીના ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રવેશ માટે કોઈ ટિકિટ નહીં પણ લોકોને ઘરેથી રોટલો-રોટલી લઈને લાવવાનું કહેવામાં આવેલ. કોઈ ન લાવ્યું હોય તો પણ ત્યાં પૈસા આપી રોટલી લઈ પ્રવેશ આપવામાં આવ્યો હતો. ડાયરામાં કીર્તિદાન ગઢવી રંગત જમાવતા નોટો નો વરસાદ કરવામાં આવ્યો હતો. આ ડાયરામાં 50 હજારથી વધુ રોટલા-રોટલી ભેગા થયા હતાં, જે અબોલ પશુઓ અને શ્ર્વાનોને ખવરાવવામાં આવશે.


ભક્તોએ 10 લાખથી વધુની ઘોળ કરી

પાટણના હાંસાપુર મલ્હાર લિંક રોડ ઉપર આવેલું આ અનોખું રોટલીયા હનુમાન મંદિર એ સમગ્ર વિશ્ર્વમાં એકમાત્ર એવું હનુમાન દાદાનું મંદિરે છે કે જ્યાં માત્ર રોટલા તેમજ રોટલીનો પ્રસાદ ચડે છે. આવા રોટલીયા હનુમાન દાદાના મંદિરના પ્રથમ પાટોત્સવ નિમિતે કીર્તિદાન ગઢવીનો ભવ્ય લોક ડાયરો યોજાયો હતો. આ ડાયરામાં પ્રવેશ માટે ટિકિટ કે પાસની વ્યવસ્થા કરવામાં આવી ન હતી. રોટલા-રોટલી સાથે ડાયરો સાંભળવા આવેલા ભક્તોએ ચલણી નોટોનો પણ વરસાદ કર્યો હતો. આ ડાયરામાં ભક્તોએ 10 લાખથી વધુની ઘોળ કરી હતી. જ્યારે 50 હજારથી વધુ રોટલા-રોટલી એકઠા થયા હોવાનું કહેવાય છે.


ભક્તોએ રોટલા-રોટલીના ઢગે ઢગ ખડકી દીધા

લોક ડાયરામાં ઉપસ્થિત કીર્તિદાન ગઢવીએ જણાવ્યું હતું કે, આપણી પરંપરા મુજબ જીવદયા માટે હર હંમેશા લોકો આગળ આવે છે અને દાનની સરવાણી કરે છે ત્યારે પાટણ ખાતે આવેલા રોટલીયા હનુમાન મંદિરમાં ફૂલ કે આભૂષણની જગ્યાએ રોટલા કે રોટલી ચઢાવવામાં આવે છે. જેનો જીવદયામાં ઉપયોગ કરવામાં આવે છે. મેં અનેક કાર્યક્રમ ડાયરાના કર્યા, જેમાં રૂપિયાનો વરસાદ થાય છે, પણ આ લોક ડાયરામાં રૂપિયાના વરસાદ સાથે રોટલા અને રોટલીના લોકોએ ઢગે ઢગ ખડકી દીધા, જે જીવદયાનું કામ કર્યું છે, તે આ ઐતિહાસિક નગર માટે અનોખું છે.


અબોલ પશુઓના પેટનો ખાડો પૂરે તેવું એકમાત્ર મંદિર

રોટલિયા હનુમાનના નામે જાણીતું આ મંદિર પાટણની સેવાભાવી સંસ્થા સિદ્ધહેમ સેવા ટ્રસ્ટ દ્વારા હાંસાપુર રોડ ઉપર બનાવવામાં આવ્યું છે. રોટલિયા હનુમાન મંદિર એ સમગ્ર વિશ્વમાં એકમાત્ર એવું મંદિર છે કે જે મંદિરનો ઉદ્દેશ અનોખો છે. આમ તો હનુમાન દાદાના મંદિરે હનુમાનને સિંદૂર કે વડા ચડતા હોય છે પણ પાટણમાં આવેલ રોટલિયા હનુમાનને રોટલા તેમજ રોટલીનો પ્રસાદ ચઢે છે એના સિવાય અન્ય કોઈપણ જાતનો પ્રસાદ નથી ચઢતો.


સિનિયર સિટિઝનો માટે અલાયદી વ્યવસ્થા

ગુરુવાર અને શનિવારે આ મંદિરે વિશેષ ભીડ જોવા મળતી હોય છે. પાટણ તેમજ આસપાસના લોકો રોટલિયા હનુમાન દાદાનાં દર્શને આવે ત્યારે ઘરેથી રોટલી કે રોટલો લેતા આવે છે. સાંજ પડ્યે મંદિરના વ્યવસ્થાપકો મોટી માત્રામાં રોટલા રોટલીઓ ભેગા કરે છે અને તે રોટલાઓ અબોલ શ્વાનોને ખવડાવવામાં આવે છે. આ મંદિરના પટાંગણમાં અવિરત હનુમાન ચાલીસા વગાડવામાં આવે છે. આ ઉપરાંત મંદિર પરિસરમાં પક્ષીઓ માટે સુંદર ચબૂતરો પણ બનાવવામાં આવ્યો છે. આ સાથે જ સિનિયર સિટિઝનો માટે મંદિર પટાંગણમાં શાંતિથી બેસીને ટીવી સ્કિનમાં હનુમાન ચાલીસા ભજન જોઈ શકે તે માટે પણ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે.


મશીનની સ્વિચ દબાવતાં જ રોટલા-રોટલીનો ઢગલો

પાટણ બહારથી આવતા શ્રદ્ધાળુઓ રોટલા-રોટલી ભગવાનને અર્પણ કરી શકે તે માટે હવે મંદિર પટાંગણમાં ઇલેક્ટ્રીક મશીન પણ વસાવામાં આવ્યું છે. જેની સ્વિચ દબાવતાની સાથે જ અસંખ્ય રોટલીઓ ઘડીક વારમાં તૈયાર થઈ જાય છે અને ભગવાનને પ્રસાદ તરીકે અર્પણ કરવામાં આવે છે. બીજી તરફ, ભૂખ્યા અબોલ જીવો પણ મંદિર બહાર પોતાના ભોજનની રાહ જોઈને બેઠા હોય છે. ભગવાનને ચડાવવામાં આવેલાં રોટલા-રોટલીનો પ્રસાદ આરોગી પોતાની ભૂખ સંતોષે છે. આ મંદિરમાં આસપાસની સોસાયટીઓના રહીશો દ્વારા તમામ પ્રકારની ફ્રી સેવા આપવામાં આવે છે.

Related posts

પાટણનાં પટોળાએ હવે માત્ર કલા જ નહિં પણ વ્યાવસાયિક સ્વરૂપ ધારણ ર્ક્યુ છે

mahagujarat

પાટણના રાજમહેલ રોડ ઉપર બનતો ઓવરબ્રીજ : સર્વિસ રોડ બનાવવામાં કોન્ટ્રાક્ટર દ્વારા વેઠ : ટ્રાફીકની ગંભીર સમસ્યાઓ

mahagujarat

નૉર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી કેમ્પસમાં ફાર્મસી કોલેજને ફાર્મસી કાઉન્સિલ ઑફ ઇન્ડિયાની મંજૂરી

mahagujarat

શનિવારે જૈનાચાર્યના જન્મ દિને પાટણમાં ડૉક્ટર ફ્રી સેવા આપશે

museb

પ્રો. ડૉ. દિલીપ પટેલને આઇસીએસએસઆર દ્વારા મહત્વકાંક્ષી પ્રોજેક્ટની ફાળવણી

mahagujarat

પાટણના નગરદેવીના મંદિરમાં અનોખો દીપોત્સવી મહોત્સવ યોજાશે

mahagujarat

Leave a Comment